કેશોદના પ્રાસલી ગામનો યુવાન પંજાબમાં શહીદ
કેશોદના પ્રાસલી ગામનો યુવાન ભારતીય સેનામાં ફરજ બજાવતાં હોય આકસ્મિક ઘટનામાં મોત નીપજતાં શાહિદના મૃતદેહને સવારે માદરે વતન લાવવામાં આવતાં સમગ્ર વાતાવરણ શોકમગ્ન બની ગયું હતું. અનીલભાઈ પુંજાભાઈ ખાણીયા પંજાબ ખાતે છેલ્લાં 19 વર્ષથી જલંધર કેમ્પમાં ફરજ બજાવતાં હોય આકસ્મિક ઘટનામાં મોત નીપજતાં હવાઈમાર્ગે અમદાવાદ ખાતે લાવવામાં આવ્યાં બાદ પાર્થિવ દેહને વાહનમાર્ગે કેશોદ લાવવામાં આવતાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીએ પુષ્પવર્ષા કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ સહિત પદાધિકારીઓ અધિકારીઓ અને નિવૃત્ત સૈનિકો ઉપરાંત શહેરીજનો જોડાઈ ભાવભીની વિદાય આપી હતી.
કેશોદના એરપોર્ટ રોડ પરથી ફુવારા ચોક થઈ કોલેજ રોડ પરથી શહિદ અનીલભાઈ મુળજીભાઈ ખાણીયાનાં પાર્થિવ દેહને લશ્કરનાં વાહનમાં પુરાં માન સન્માન સાથે વિશાળ વાહનો બાઈકનાં કાફલા સાથે પ્રાસલી ગામ સુધી અંતિમયાત્રા ડીજે પર રાષ્ટ્રીય ગીતો અને સૂત્રો પોકારતા નીકળી હતી ત્યારે જાહેર માર્ગ પર શહિદ જવાનનો પાર્થિવ દેહ પસાર થતાં રોડની બન્ને બાજુ ઉભેલા લોકોએ પુષ્પવર્ષા કરી શ્રધ્ધાંજલિ આપી હતી. કેશોદના પ્રાસલી ગામે શહિદ અનીલભાઈ મુળજીભાઈ ખાણીયા નો પાર્થિવ દેહ પહોંચતા નાનકડું ગામ હિબકે ચડ્યું હતું. ભારતીય સેનાના વીર જવાન શહીદ અનીલભાઈ મુળજીભાઈ ખાણીયાને પુરાં માન સન્માન સાથે ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમવિધિ કરવામાં આવેલ જેમાં કેશોદ પંથકના પદાધિકારીઓ અધિકારીઓ અને તાલુકાનાં રહીશો બહોળી સંખ્યામાં જોડાયાં હતાં.