રાજસ્થાનમાં ઓમ માથુર, એમપીમાં તોમર: રવિવાર સુધીમાં ત્રણ સીએમના નામનો ફેંસલો
ત્રણ રાજયોમાં પ્રચંડ વિજય પછી મુખ્યમંત્રી કોને બનાવવા તે બાબતે ભાજપ- હાઇકમાંડ ગોથે ચડયુ છે. ગત રવિવારે સાંજે પરિણામો બાદ સ્થિતિ સ્પષ્ટ થઇ ગઇ હતી. ધારાસભ્ય તરીકે ચુંટાયેલા સાંસદો કેન્દ્રીય પ્રધાનોએ રાજીનામા આપતાં સીએમ પદનું રહસ્ય વધુ ઘેરાયું હતું. મધ્યપ્રદેશમાં સત્તારૂઢ શિવરાજસિંહની આગેવાની હેઠળ ભાજપે પ્રચંડ બહુમતી સાથે સત્તા જાળવી રાખી હોવા છતાં હાલના મુખ્યમંત્રીને રિપીટ કરાશે કે કેમ તે સ્પષ્ટ નથી. રાજસ્થાનમાં વસુંધરા રાજેથી લઇ બાલકનાથ અને કેન્દ્રીય મંત્રી અશ્વિન વૈષ્ણવ, દિયાકુમારીના નામ ચર્ચાતા હતા ત્યાં ઓમ માથુરનું નામ સામે આવ્યું છે. તેઓ હાલ સાંસદ છે, પણ વિધાનસભાની ચુંટણી લડયા નહોતા.
બીજી તરફ ભાજપના કેન્દ્રીય મહામંત્રી અને ધારાસભ્ય તરીકે ચુંટાયેલા કૈલાસ વિજયવર્ગીએ રવિવાર સુધીમાં મુખ્યમંત્રીના નામનો ફેંસલો થઇ જશે તેવું જણાવ્યું છે.
મધ્યપ્રદેશમાં કૃષિ પ્રધાન તરીકે રાજીનામું આપનારા નરેેન્દ્ર તોમરનું નામ આગળ આવી રહ્યું છે. જયારે છતીસગઢમાં કેન્દ્રીય રાજયમંત્રી તરીકે રાજીનામું આપનારા રેણુકાસિંહ મુખ્યપ્રધાન બની શકે છે.
હકીકતમાં ભાજપે આ ચૂંટણી કોઈ પણ સીએમ ચહેરા વિના લડી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મંગળવારે સાંજે પીએમ મોદીના નિવાસ સ્થાન પર આ રાજ્યોના સીએમ પદના પ્રબળ દાવેદારો માટે વિચાર કરવામાં આવ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે આજે ત્રણેય રાજ્યોના સીએમનું નામ ફાઈનલ થઈ જશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપ સીએમ તરીકે નવા ચહેરા બનાવી શકે છે. આવી સ્થિતિમાં, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ આજે કહ્યું હતું કે, આ સસ્પેન્સ રવિવારે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં, એવું માની શકાય છે કે ભાજપ પક્ષ રવિવારે ત્રણેય મુખ્યમંત્રીઓના નામની જાહેરાત કરી શકે છે.