આગામી સપ્તાહના અંતે 70 કેદીઓની દયાની અરજી પર સુનાવણી હાથ ધરાશે
રાજકોટ શહેરની મધ્યમાં આવેલ સેન્ટ્રલ જેલમાં સજા ભોગવતાં 70 થી વધુ કેદીઓએ જુદા જુદા કારણોસર કલેકટર કમીટી સમક્ષ દયાની અરજી કરવામાં આવીે છે જેની આગામી સપ્તાહના અંતે સુનાવણી હાથ ધરવામાં આવનાર હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. આ અંગેની મળતી માહિતી મુજબ, રાજકોટની સેન્ટ્રલ જેલમાં ક્ષમતા કરતાં બમણી સંખ્યામાં કેદીઓ રાખવામાં આવ્યા છે. જેમાં રાજકોટની સેન્ટ્રલ જેલમાં 1200થી વધુ કેદીઓ સજા ભોગવી રહ્યાં છે અને 2300થી વધુ કેદીઓ હાલ જેલમાં હોવાનું જાણવા મળ્યું છે. જુદા જુદા ગુનામાં 14 વર્ષથી સજા ભોગવતાં 120 જેટલી કેદીઓમાંથી 70 જેટલા કેદીઓએ સારી ચાલ ચલગતના આધારે જેલમાંથી મુક્તિ આપવા માટે કલેકટર કમિટી સમક્ષ દયાની અરજી કરવામાં આવી છે. જેની ગત સપ્તાહમાં 8 તારીખે બેઠક મળવાની હતી પરંતુ સંજોગો વસાહત આ બેઠક કેન્સલ થઈ હતી. સુત્રોમાંથી જાણવા મળ્યા પ્રમાણે આવતા સપ્તાહના અંતમાં ફરી કલેકટરના અધ્યક્ષ સ્થાને કમીટીની બેઠક મળવા જઈ રહી છે જેમાં પોલીસ કમિશ્નર, જેલ અધિક્ષક અને ન્યાયધિશ સહિતના અધિકારીઓ હાજર રહેવાના છે અને તેમની સમક્ષ 70 જેટલા કેદીઓની દયાની અરજી મુકવામાં આવશે. કલેકટરના અધ્યક્ષ સ્થાને મળનારી કમીટીની બેઠકમાં કેદીઓની દયાની અરજી પર સુનાવણી કર્યા બાદ આ અંગે કેદીઓને છોડવા કે નહીં તે અંગેનો રિપોર્ટ ગૃહ વિભાગને કરવામાં આવશે અને છેલ્લો નિર્ણય ગૃહ વિભાગ દ્વારા લેવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.