જેતપુરમાં માતા સાથે મોસાળમાં તહેવાર કરવા ગયેલા 5 વર્ષના માસૂમનું ઝેરી જનાવર કરડી જતાં મોત
રાજકોટમાં ગંજીવાડા વિસ્તારમાં રહેતી પરિણીતા પોતાના પાંચ વર્ષના માસુમ બાળક સાથે જેતપુર ગામે માવતરમાં તહેવાર કરવા ગઈ હતી ત્યારે પાંચ વર્ષના માસુમનું ઝેરી જનાવર કરડી જતા મોત નીપજ્યું હતું. માસુમના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટના ગંજીવાડા વિસ્તારમાં રહેતી પરિણીતા પોતાના પુત્ર જીયાન ચંદુભાઈ પરમાર નામના પાંચ વર્ષના માસુમ બાળક સાથે જેતપુર પાસે આવેલા વડલી ચોકમાં રહેતા માવતરના ઘરે સાતમ આઠમનો તહેવાર કરવા ગઈ હતી ત્યારે આઠમના દિવસે માસુમ જીયાન પરમારને ઝેરી જનાવર કરડી જતા માસુમ બાળકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં માસુમ બાળકની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ માસુમ બાળકે હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે જેતપુર પોલીસને જાણ કરતા જેતપુર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. અને પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.