150 ફૂટ રિંગ રોડ ઉપર અંતે ખાનગી બસોને પ્રવેશબંધી
રાજકોટ શહેરમાં વધતી જતી ટ્રાફીક સમસ્યાને ધ્યાને લઈ પાંચ માસ પહેલા જાહેરનામું બહાર પાડી ખાનગી લકઝરી બસોને દિવસે શહેરમાં પ્રવેશબંધી ફરમાવી હતી. આ મુદ્દે ખાનગી બસ ઓપરેટરો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતાં પાંચ મહિના માટે આ જાહેરનામાના હુકમને સ્થગિત કરાયો હતો. સમય મર્યાદા પૂર્ણ થતાં આજથી રાજકોટ શહેરના ત્રણેય પ્રવેશદ્વારો પર ટ્રાફીક પોલીસ દ્વારા આ જાહેરનામાની કડક અમલવારી શરૂ કરી દેતાં ભારે દેકારો બોલી ગયો છે અને મુસાફરોને ગામના છેવાડે ઉતરી ફરજિયાત રીક્ષામાં ઘરે જવાનો સમય આવ્યો હતો.
રાજકોટ શહેરની ટ્રાફીક સમસ્યા દિવસને દિવસે વકરી રહ્ી છે ત્યારે આ ટ્રાફીક સમસ્યા હલ કરવા માટે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે ગત તા.15-7-2023નાં એક જાહેરનામું બહાર પાડી રાજકોટ શહેરમાં સવારના 8 થી લઈને રાત્રિનાં 9 વાગ્યા સુધી ખાનગી લકઝરી બસ અને ભારે વાહનોને પ્રવેશબંધી ફરમાવી હતી.
પોલીસ કમિશનરના આ જાહેરનામા સામે ખાનગી બસના સંચાલકોએ વિરોધ કરી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતાં જાહેરનામું સ્થગિત કરી દેવામાં આવ્યું હતું અને ખાનગી બસ ઓપરેટરોના સંચાલકોએ પોતાની વ્યવસ્થા કરી લેવા આદેશ આપવામાં આવ્યા હતાં. પાંચ મહિના વિતી જવા છતાં ખાનગી બસના ઓપરેટરો દ્વારા પોતાની બસની અન્ય કોઈ વ્યવસ્થા કરી ન હતી.
પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવના આદેશથી આજથી જ રાજકોટ શહેરના ત્રણેય પ્રવેશદ્વાર, ગ્રીનલેન્ડ ચોકડી, માધાપર ચોકડી, ગોંડલ રોડ ચોકડી ખાતે પોલીસ કાફલો સવારથી જ તૈનાત થઈ ગયો હતો અને સિટીમાં ખાસ કરીને 150 ફુટ રીંગ રોડ પર પ્રવેશ કરતી તમામ લકઝરી બસો અટકાવી દીધી હતી અને મુસાફરોને ફરજિયાત ત્રણેય પ્રવેશદ્વાર પર ઉતરવાની ફરજ પાડવામાં આવી હતી.
ટ્રાફીક પોલીસ દ્વારા ઓચિંતા જ પોલીસ કમિશ્નરના જાહેરનામાની અમલવારી શરૂ કરતાં મુસાફરોમાં ભારે દેકારો બોલી ગયો હતો જ્યારે ખાનગી બસના ઓપરેટરો પણ આ બાબત કોઈ વૈકલ્પીક રસ્તો કાઢવા ટ્રાફીક પોલીસ સમક્ષ વિનંતી કરાઈ હતી. પરંતુ તેમની કોઈ માંગ સ્વિકારવામાં આવી ન હતી.
જાહેરનામાં સામે ખાનગી બસના ઓપરેટરો કરશે રજૂઆત
રાજકોટ શહેરમાં ખાનગી લકઝરી બસોને પ્રવેશબંધીનો આજથી અમલ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે ખાસ કરીને 150 ફુટ રીંગ રોડ પર ખાનગી ટ્રાવેલ્સની ઓફિસો આવેલી હોય બસના સંચાલકો દ્વારા મુસાફરોની સુવિધા માટે રીંગ રોડ પર લકઝરી બસો પસાર કરવા માટે રજૂઆત કરાઈ હતી પરંતુ આ રજૂઆતને ધ્યાને લેવામાં આવી નથી. આ તકે ખાનગી બસ ઓપરેટર એસોસીએશનના પ્રમુખ દશરથભાઈ વાળાએ ‘ગુજરાત મિરર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ જાહેરનામા સામે રાજ્ય સરકારમાં રજૂઆત કરશું અને જરૂર જણાય તો અમને વૈકલ્પીક વ્યવસ્થા રૂપે બીઆરટીએસ રૂટ ઉપર લકઝરી બસના માલીકો પાસેથી ચાર્જ વસુલીને પ્રવેશ આપવા પણ રજૂઆત કરનાર હોવાનું જણાવ્યું છે.