રોહિત શર્માના સ્થાને શુભમન ગિલ ટેસ્ટ કેપ્ટન બનશે?
રોહિત શર્માએ બુધવારે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. આ પછી, દરેકના હોઠ પર પ્રશ્ન એ છે કે ભારતીય ટેસ્ટ ટીમનો નવો કેપ્ટન કોણ હશે ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો આગામી ટેસ્ટ ઇંગ્લેન્ડ પ્રવાસ છે, જે 20 જૂનથી શરૂૂ થવાનો છે. એક મીડિયા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે પસંદગી સમિતિ 25 વર્ષીય શુભમન ગિલને નવો કેપ્ટન બનાવવાનું વિચારી રહી છે.
સૂત્રોએ જણાવ્યું છે કે શુભમન ગિલ ટેસ્ટ ટીમનો આગામી કેપ્ટન બની શકે છે. જોકે, મુખ્ય પસંદગીકાર અજિત અગરકરની BCCIના ટોચના અધિકારીઓ સાથેની બેઠક પછી જ આ વાતની પુષ્ટિ થશે. ભારતીય ટીમનો વર્લ્ડ ચેમ્પિયનશિપ 2025-27 તબક્કો ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીથી શરૂૂ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, એક યુવાન ખેલાડીને નવો કેપ્ટન બનાવવાનું વિચારવું આશ્ચર્યજનક નથી.શુભમન હાલમાં IPLમાં કેપ્ટનશીપ કરી રહ્યો છે અને તેણે સાબિત કર્યું છે કે તે પોતાના ખભા પર કેપ્ટનશીપનું દબાણ સહન કરી શકે છે. ગુજરાત ટાઇટન્સ તેના નેતૃત્વમાં સારું પ્રદર્શન કરી રહી છે, ગિલે કેપ્ટન અને બેટ્સમેન તરીકે સારું પ્રદર્શન કર્યું છે. તે ટીમને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે.
જો આપણે ગિલના ટેસ્ટ કરિયર પર નજર કરીએ તો, તેણે અત્યાર સુધીમાં 32 ટેસ્ટ મેચોમાં 35.05 ની સરેરાશથી 1,893 રન બનાવ્યા છે. અત્યાર સુધીમાં તેના બેટમાંથી 5 સદી અને 7 અડધી સદી ફટકારી છે. ગિલ માટે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી સારી સાબિત થઈ ન હતી જેમાં તે પાંચ ઇનિંગ્સમાં ફક્ત 93 રન જ બનાવી શક્યો હતો.