અભિષેક શર્માને ODI ફોર્મેટમાં તક મળશે? રોહિતનું સ્થાન જોખમમાં
ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં સામેલ કરવા વિચારણા
એશિયા કપ 2025માં ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર બેટર અભિષેક શર્માએ શાનદાર પ્રદર્શન કરીને લોકો દિલ જીતી લીધા છે. ટુર્નામેન્ટની 4 મેચમાં અભિષેકે 43.25ની એવરેજથી 173 રન બનાવ્યા છે, પાકિસ્તાન સામેની બંને મેચમાં ટીમને જીત અપાવવા અભિષેકે મહત્વનું ભૂમિકા ભજવી હતી. ટી-20 ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન બદલ BCCI અભિષેકને હવે પ્રમોશન આપી શકે છે.
ભારતીય ટીમ ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયાના મહત્વપૂર્ણ પ્રવાસે જવાની છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયન ટીમ સામે ત્રણ ઓડીઆઇ અને પાંચ ટી-20 મેચ રમવાની છે. અહેવાલ મુજબ ટી-20 ઉપરાંત ઓડીઆઇ સ્કવોડમાં પણ અભિષેકને સામેલ કરવામાં આવી શકે છે.
અભિષેક બેટિંગ ઉપરાંત જરૂૂર પડ્યે બોલિંગ કરી શકે છે, તે નેટમાં બોલિંગની પ્રેક્ટીસ પણ કરતો રહે છે. ઓસ્ટ્રેલીયા સામે ઓડીઆઇ સિરીઝ 19 ઓક્ટોબરથી શરૂૂ થવાની છે. હાલમાં એશિયા કપમાં ભારતના બાકીના મેચોમાં અભિષેકના પ્રદર્શન પર સિલેક્ટર્સની નજર રહેશે. અભિષેકે લિસ્ટ એ ક્રિકેટમાં 61 મેચો રમી છે, જેમાં તેણે 35.33 ની એવરેજ અને 99.21 ના સ્ટ્રાઇક રેટથી 2014 રન બનાવ્યા છે.
તેણે 38 વિકેટ પણ લીધી છે. આ પ્રદર્શનને કારણે તેને ઓડીઆઇ ટીમમાં પણ સ્થાન મળી શકે છે. ઓડીઆઇમાં હાલ કેપ્ટન રોહિત શર્મા અને વાઈસ કેપ્ટન શુભમન ગિલ ઓપનીંગ કરે છે. ગિલને ઓલ-ફોર્મેટ કેપ્ટન તરીકે તૈયાર કરવામાં આવી રહ્યો છે, રોહિત ટૂંક સમયમાં રીટાયર થાય તેવી શકયતા છે. અભિષેક ઓપનીંગ બેટર તરીકે રોહિત શર્માનું સ્થાન લઇ શકે છે.