ભારતીય હોકીને મેં જે આપ્યું છે, તેના કરતા વધારે દેશે મને પરત આપ્યું
પદ્મભૂષણની જાહેરાત બાદ પી.આર.શ્રીજેશની પ્રતિક્રિયા
ઑલિમ્પિક્સમાંબે વાર મેડલ જીતેલો ભારતીય હોકી ટીમના ભૂતપૂર્વ ગોલકીપર અને હાલના ભારતીય જુનિયર ટીમના કોચ પી.આર. શ્રીજેશને પદ્મભૂષણ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. તે મેજર ધ્યાનચંદ (વર્ષ 1956) પછી પદ્મભૂષણ પુરસ્કાર મેળવનાર બીજો હોકી ખેલાડી છે. આ જાહેરાત બાદ શ્રીજેશે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું.શ્રીજેશ કહે છે, મને એવું લાગે છે કે છેલ્લાં 20 વર્ષમાં મેં ભારતીય હોકી માટે જે કંઈ કર્યું છે એના માટે દેશ મને સન્માનિત કરી રહ્યો છે.
હું દેશનો આભાર માનવા માગું છું. મેં જે આપ્યું એના કરતાં વધુ દેશે મને પાછું આપ્યું છે. મને ખબર નહોતી કે ધ્યાનચંદજી પછી આ અવોર્ડ મેળવનાર હું બીજો હોકી પ્લેયર છું. આ એક સ્વપ્ન જેવું લાગે છે. દેશના ઘણા મહાન પ્લેયર્સ વચ્ચે ધ્યાનચંદજી પછી આ પુરસ્કાર મેળવવો મારા માટે મોટી વાત છે. હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનું છું. આ વર્ષે હરમનપ્રીત સિંહને ખેલ રત્ન મળ્યો અને મને પદ્મ પુરસ્કાર મળ્યો, આ હોકી માટે ખૂબ જ સન્માનની વાત છે.