RCBને 5 વિકેટે પરાજય આપી પંજાબ કિંગ્સનો શાનદાર વિજય, પ્લેઓફની મજબૂત દાવેદારી
IPL 2025માં પંજાબ કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામેની મેચમાં 5 વિકેટે શાનદાર જીત નોંધાવીને આ સિઝનમાં પોતાની પાંચમી જીત મેળવી લીધી છે. વરસાદના વિઘ્નને કારણે આ મેચ 14-14 ઓવરની રમાઈ હતી. આ જીત સાથે પંજાબ કિંગ્સે પ્લેઓફમાં પહોંચવાની પોતાની આશાને વધુ મજબૂત બનાવી છે.
વરસાદના કારણે મેચ મોડી શરૂૂ થતા 14 ઓવર પ્રતિ ઇનિંગ નક્કી કરવામાં આવી હતી. જેમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ નિર્ધારિત 14 ઓવરમાં 9 વિકેટના નુકસાને માત્ર 95 રન જ બનાવી શકી હતી. RCB તરફથી ટિમ ડેવિડે એકલા હાથે લડત આપતા 26 બોલમાં અણનમ 50 રનની ઇનિંગ રમી હતી, જેના કારણે ટીમનો સ્કોર 90 પાર કરી શક્યો હતો. એક સમયે RCBએ 63 રનમાં 9 વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન રજત પાટીદારે 23 રનનું યોગદાન આપ્યું હતું.
પંજાબ કિંગ્સના બોલરોનું આ મેચમાં પ્રદર્શન ખૂબ જ પ્રભાવશાળી રહ્યું હતું. અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, માર્કો જેનસેન અને હરપ્રીત બ્રાર - આ ચારેય બોલરોએ 2-2 વિકેટ ઝડપીને RCB ના બેટ્સમેનોને મોટો સ્કોર કરતા રોક્યા હતા. 96 રનના સામાન્ય લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની ટીમે પણ શરૂૂઆતમાં કેટલાક ઝટકા અનુભવ્યા હતા. 22 રનના સ્કોર પર પ્રભસિમરન સિંહ (13 રન) ના રૂૂપમાં ટીમે પ્રથમ વિકેટ ગુમાવી હતી. પ્રિયાંશ આર્ય પણ 13 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન શ્રેયસ અય્યર માત્ર 7 રન બનાવી શક્યો, જ્યારે જોશ ઇંગ્લિશે 14 રનનું યોગદાન આપ્યું. 53 રનમાં 4 વિકેટ ગુમાવી દેતા પંજાબ કિંગ્સ થોડી મુશ્કેલીમાં મુકાઈ હતી.
જોકે, ત્યારબાદ નેહલ વાઢેરા અને શશાંક સિંહની જોડીએ બાજી સંભાળી લીધી હતી. બંને વચ્ચે પાંચમી વિકેટ માટે 21 બોલમાં 28 રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી. નેહલ વાઢેરાએ દબાણ હેઠળ શાનદાર બેટિંગ કરતા 33 રનની અણનમ ઇનિંગ રમી અને ટીમને વિજય સુધી પહોંચાડી. શશાંક સિંહે પણ તેને સારો સાથ આપ્યો. પંજાબ કિંગ્સે 96 રનનો લક્ષ્યાંક 12.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.