જયપુર સ્ટેડિયમની વોલ ઓફ ગ્લોરી પરથી પાક. ક્રિકેટરોના ફોટા હટાવાયા
ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર વધી રહેલા તણાવ અને તાજેતરના ઘટનાક્રમો વચ્ચે, તેની અસર હવે રમતગમત અને સાંસ્કૃતિક સંબંધો પર પણ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. રાજસ્થાન ક્રિકેટ એસોસિએશન (RCA) એ પાકિસ્તાની ક્રિકેટરો સામે કડક કાર્યવાહી કરતા, જયપુરના સુપ્રસિદ્ધ સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતેના વોલ ઓફ ગ્લોરી પરથી તેમના ફોટા દૂર કરી દીધા છે.
1969માં સ્થપાયેલ સવાઈ માનસિંહ સ્ટેડિયમનો પોતાનો એક ભવ્ય ઇતિહાસ છે. આ સ્ટેડિયમમાં આંતરરાષ્ટ્રીય મેચો રમનાર દરેક ક્રિકેટરનો ફોટોગ્રાફ વોલ ઓફ ગ્લોરી પર પ્રદર્શિત કરવામાં આવ્યો છે, જે કોઈપણ ખેલાડી માટે ખૂબ જ ગૌરવની વાત છે. જોકે, ભારત અને પાકિસ્તાન વચ્ચેના વધતા તણાવને કારણે, સ્ટેડિયમ ઓથોરિટી દ્વારા અહીં રમેલા તમામ પાકિસ્તાની ક્રિકેટરોના ફોટા દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાકિસ્તાન ટીમે આ મેદાન પર એક ટેસ્ટ અને 4 વન-ડે મેચ રમી છે, જેમાં કુલ 25 પાકિસ્તાની ક્રિકેટરોએ ભાગ લીધો હતો. રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનના નિર્ણય મુજબ, આ તમામ 25 પાકિસ્તાની ક્રિકેટરોના ફોટા વોલ ઓફ ગ્લોરી પરથી હટાવી દેવામાં આવ્યા છે. આ ખેલાડીઓમાં પાકિસ્તાન તરફથી રમનાર છેલ્લા હિન્દુ ક્રિકેટર દાનિશ કનેરિયાનો ફોટો પણ સામેલ છે.