ન ટોસ થયો, ન તો એકપણ બોલ ફેંકાયો છતાંય ફાઇનલમાં પહોંચ્યું પાકિસ્તાન
WCLમાં ભારત સાથેની મેચ રદ થતા પાક ક્વોલિફાય
ભારત અને પાકિસ્તાન વચ્ચે બુધવારે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (ઠઈક) 2025ની સેમિફાઇનલ રદ કરવામાં આવી હતી. પહેલગામ આતંકવાદી હુમલા બાદ, ભારતના ખેલાડીઓએ પાકિસ્તાન સાથે રમવાનો ઇનકાર કરી દીધો હતો. બંને ટીમો આજે બર્મિંગહામના એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ પર એકબીજા સામે ટકરાવવાની હતી. મેચ રદ થતાં પાકિસ્તાન ફાઇનલ માટે ક્વોલિફાય થઈ ગયું છે.
પાકિસ્તાને સતત બીજી વખત WCL ફાઇનલમાં જગ્યા બનાવી છે. ગયા વર્ષે પ્રથમ આવૃત્તિમાં, પાકિસ્તાન ફાઇનલમાં ભારત સામે હારી ગયા બાદ રનર્સ-અપ રહ્યું હતું.
WCL એ એક નિવેદન બહાર પાડીને મેચ રદ કરવાની પુષ્ટિ કરી. આયોજકોએ સેમિફાઇનલમાંથી ખસી જવાના ભારતના નિર્ણયનું સન્માન કર્યું અને પાકિસ્તાનની રમવાની ઇચ્છા સ્વીકારી. આયોજકોએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતના ખસી જવાને કારણે, પાકિસ્તાન ચેમ્પિયન ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ છે.બુધવારે સાંજે પીટીઆઈએ અહેવાલ આપ્યો હતો કે શિખર ધવન, ઇરફાન પઠાણ, હરભજન સિંહ, યુવરાજ સિંહ, સુરેશ રૈના અને અન્ય ખેલાડીઓએ પાકિસ્તાન સામે નોકઆઉટ મેચ રમવાનો ઇનકાર કર્યો હતો.