ટ્રોફી પર ભારતનો અધિકાર, અસ્વીકાર સંબંધી નિયમો નથી પણ મામલો આચારસંહિતા હેઠળ આવી શકે
એશિયા કપ 2025ની ફાઈનલ મેચમાં ભારત-પાકિસ્તાન વચ્ચે રસાકસીભરી મેચ થઈ હતી. આ મેચમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવી નવમી વખત એશિયા કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ ફાઈનલ મેચ પછી એવોર્ડ વિતરણ સમારોહ વિવાદોથી ભરેલો રહ્યો હતો. ભારતીય ખેલાડીઓએ મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. ત્યારેબાદ મોહસીન નકવી ટ્રોફી લઈને જતા રહ્યા હતા. અને ખેલાડીઓએ ટ્રોફી વગર જ પોતાની જીતની ઉજવણી કરી. પરંતુ આ વિવાદ વચ્ચે દરેક મનમાં એક સવાલ હશે કે, શું ભારતને ફરી ટ્રોફી મળશે કે નહીં?
કેપ્ટન દ્વારા ટ્રોફી સ્વીકારવાનો ઈનકાર આઈસીસી આચારસંહિતા હેઠળ આવી શકે છે, પરંતુ આ અંગે કોઈ ચોક્કસ નિયમો નથી. આ ક્રિકેટની ભાવના વિરુદ્ધ હોઈ શકે છે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે સમજાવવું પડશે કે તેણે આ ટ્રોફી કેમ સ્વીકારી નહીં અને પછી એશિયન ક્રિકેટ કાઉન્સિલ (અઈઈ) અથવા આઈસીસી કોઈપણ કાર્યવાહી અંગે નિર્ણય લેશે. દરમિયાન બીસીસીઆઈએ ટ્રોફી ભારત મોકલવા માગણી કરી હોવાનું એક અહેવાલમાં જણાવાયું છે.
બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાના જણાવ્યાનુસાર, ભારત એવા વ્યક્તિ પાસેથી ટ્રોફી સ્વીકારી શકે નહીં જે પોતાના દેશ સામે યુદ્ધ કરી રહ્યો છે. અમે તેની (મોહસીન નકવી) પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો, પરંતુ તેને હોટલના રૂૂમમાં લઈ જવાની ના પાડતા નથી. અમે નવેમ્બરમાં આઈસીસીની બેઠકમાં આ મામલે વિરોધ નોંધાવીશું. જો પીસીબી પણ આઈસીસીને ફરિયાદ કરશે, તો આઈસીસી અંતિમ નિર્ણય લેશે.
ભારતીય ટીમે ખિતાબ જીતવા માટે સખત મહેનત કરી અને બધી હરીફ ટીમોને હરાવી. કોઈને પણ ટ્રોફી પોતાની સાથે લઈ જવાનો અધિકાર નથી. જો ભારતીય ખેલાડીઓ મોહસીન નકવી સાથે હાથ મિલાવવા કે તેમની પાસેથી ટ્રોફી સ્વીકારવા માંગતા ન હોય અને આ અંગે કોઈ નિયમો નથી, તો તેમાં કંઈ ખોટું નથી. પરંતુ કોઈ ટીમનો જીતેલી ટ્રોફીનો અધિકાર છીનવી લેવો અને તેને પોતાની સાથે લઈ જવું એ તદન ખોટું છે.