ભારતના દિગ્ગજ ફૂટબોલર સુનીલ છેત્રીનું કમબેક, નિવૃત્તિ પાછી ખેંચી
નિવૃત્તિની જાહેરાત કર્યા પછી રમતગમતમાં વાપસીના ઘણા ઉદાહરણો છે અને હવે એક ભારતીય દિગ્ગજ પણ આવી જ વાપસી કરવા જઈ રહ્યો છે. હા, ભારતના મહાન ફૂટબોલ ખેલાડી અને ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ છેત્રીએ નિવૃત્તિ પછી પાછા ફરવાની જાહેરાત કરી છે. ટીમ ઈન્ડિયાને ક્વોલિફિકેશન પ્રાપ્ત કરવામાં મદદ કરવા માટે છેત્રીએ આ મોટો નિર્ણય લીધો છે. ભારતીય ફૂટબોલ એસોસિએશને ગુરુવારે આ જાહેરાત કરી અને કહ્યું કે સુનીલ છેત્રી માર્ચમાં યોજાનારી મેચો માટે વાપસી કરવા જઈ રહ્યો છે.
ભારતીય ફૂટબોલના સૌથી સફળ ખેલાડી સુનીલ છેત્રીએ ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. 40 વર્ષના છેત્રીએ પોતાની છેલ્લી મેચ 6 જૂને કુવૈત સામે રમી હતી, જે 0-0થી ડ્રો રહી હતી. આ વર્લ્ડ કપ 2026 માટે ક્વોલિફાયર મેચ હતી પરંતુ ભારતીય ટીમ સફળતા મેળવી શકી નહીં. પછી છેત્રીને આંસુઓ સાથે વિદાય આપવામાં આવી. હવે ફરી એકવાર તે ભારતીય જર્સીમાં મેદાન પર પોતાનો જલવો બતાવતો જોવા મળશે. આ સાથે, સુનીલ છેત્રી પહેલીવાર નવા કોચ મનોલો માર્ક્વેઝની ટીમમાં રમતો જોવા મળશે. ગયા વર્ષે છેત્રીને નિવૃત્તિ પછી જ માર્ક્વેઝને ભારતીય ટીમના નવા કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. આ પછી, ટીમ ઈન્ડિયાએ રમેલી 4 આંતરરાષ્ટ્રીય મેચોમાં, કોચે ફોરવર્ડ લાઈનમાં વિવિધ વિકલ્પોનો ઉપયોગ કર્યો પરંતુ તેને વધારે સફળતા મળી નહીં અને ભારતીય ટીમ 4 મેચમાં ફક્ત 2 ગોલ કરી શકી.
આવી સ્થિતિમાં, માર્ક્વેઝે ભારતીય ફૂટબોલના સૌથી સફળ એટેકરને ટીમમાં પાછા બોલાવવાનો નિર્ણય લીધો છે. છેત્રીની વાપસીનું એક મોટું કારણ તેનું વર્તમાન ફોર્મ છે. આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લેવા છતા છેત્રીએ બેંગલુરુ એફસી માટે રમવાનું ચાલુ રાખ્યું છે. છેત્રીએ ઈંજકની વર્તમાન સિઝનમાં બેંગલુરુ માટે અત્યાર સુધીમાં 12 ગોલ કર્યા છે, જેમાં કેરળ બ્લાસ્ટર્સ સામેની શાનદાર હેટ્રિકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેના નામે બે આસિસ્ટ પણ છે, જેની મદદથી તે કુલ 14 ગોલમાં સામેલ રહ્યો છે. આવી સ્થિતિમાં, માર્ક્વેઝ અને ભારતીય ફૂટબોલ એસોસિએશને મહાન ફૂટબોલરના ફોર્મનો લાભ લેવા માટે આ પગલું ભર્યું છે અને છેત્રી આ માટે સંમત થયો છે.