પૂર્વ ક્રિકેટ કપ્તાન ગાંગુલીની કારને અકસ્માત: આબાદ બચાવ
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીની કારનો ગુરુવારે દુર્ગાપુર એક્સપ્રેસ વે પર અકસ્માત થયો હતો. આ અકસ્માત ત્યારે થયો જ્યારે સૌરવ ગાંગુલી એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે બર્ધવાન જઈ રહ્યા હતા.
મળતી માહિતી મુજબ, દંતનપુર નજીક અચાનક એક ટ્રક તેમના કાફલાની સામે આવી ગઇ હતી જેના કારણે તેમના ડ્રાઇવરે અચાનક બ્રેક લગાવવી પડી. આ કારણે પાછળથી આવતા વાહનો એકબીજા સાથે અથડાયા અને તેમાંથી એક કાર સૌરવ ગાંગુલીની કાર સાથે ટકરાઇ હતી. સદનસીબે, આ અકસ્માતમાં સૌરવ ગાંગુલી કે તેમના કાફલામાં રહેલા અન્ય કોઈને ઈજા થઈ નથી. પરંતુ ગાંગુલીના કાફલાના બે વાહનોને નુકસાન થયું હોવાનું કહેવાય છે.અકસ્માત પછી સૌરવ ગાંગુલીને લગભગ 10 મિનિટ સુધી રસ્તા પર રાહ જોવી પડી ત્યારબાદ તેઓ કાર્યક્રમ માટે રવાના થયા અને બર્દવાન યુનિવર્સિટીમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી.
નોંધનીય છે કે સૌરવ ગાંગુલી ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ભૂતપૂર્વ પ્રમુખ છે. તેમને ભારતીય ક્રિકેટના સૌથી આક્રમક અને પ્રભાવશાળી કેપ્ટનોમાંના એક ગણવામાં આવે છે. તેમની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે વિદેશમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ઘણી ઐતિહાસિક જીત નોંધાવી હતી.