For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં બે મહિલા સહિત ત્રણના હાર્ટએટેકથી મોત

02:09 PM Dec 25, 2023 IST | Sejal barot
રાજકોટમાં બે મહિલા સહિત ત્રણના હાર્ટએટેકથી મોત

રાજ્યભરમાં હાર્ટ એટેકે ઉપાડો લીધો હોય તેમ હદયરોગના હુમલાથી અનેક માનવ જિંદગીના શ્વાસ થંભી રહ્યા છે ત્યારે રાજકોટમાં વધુ ત્રણ વ્યક્તિના હદય બેસી ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં જામનગરથી પતિની આંખનું ઓપરેશન કરાવવા આવેલા વૃદ્ધા, ખાનગી કોલેજની બસના ચાલક અને પ્રોઢાનું હૃદય રોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જામનગરમાં આવેલી સ્વસ્તિક સોસાયટીમાં રહેતા નીરૂૂબેન બીપીનભાઈ વારીયા નામના 63 વર્ષના વૃદ્ધા રાજકોટમાં આવેલા સર્વેશ્વર ચોકમાં શ્રદ્ધા એપાર્ટમેન્ટમાં રહેતા પોતાના ભાઈ હરેશભાઇ મહેતાના ઘરે હતા ત્યારે રાત્રિના ત્રણેક વાગ્યાના અરસામાં હ્રદય રોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. વૃદ્ધાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં વૃદ્ધાનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક નિરુબેન તેમના પતિની અખોનું ઓપરેશન કરાવવા માટે આવ્યા હતા પરંતુ તે દિવસે આંખનું ઓપરેશન ન હોવાથી ભાઈના ઘરે રોકાયા હતા ત્યારે હદય રોગનો હુમલો આવતા મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં મૂળ જસદણ પંથકના વતની અને હાલ રાજકોટના ભીચરી ગામે રહેતા અને ખાનગી કોલેજની સ્કૂલ બસ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા જીવાભાઇ લખાભાઇ લેલા નામના 49 વર્ષના આધેડ પોતાના ઘરે હતા ત્યારે વહેલી સવારના પાંચેક વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા જીવાભાઇ લેલાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે જીવાભાઈ લેલાનું હૃદય રોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક જીવાભાઈ લેલા ત્રણ ભાઈ એક બહેનમાં વચ્ચેટ હતા. અને તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય ત્રીજા બનાવમાં રાજકોટમાં આવેલા જસરાજનગરમાં રહેતા કિરણબેન કિશોરભાઈ અઘેરા નામના 49 વર્ષના પ્રોઢા પોતાના ઘરે હતા ત્યારે વહેલી સવારે છએક વાગ્યાના અરસામાં હૃદય રોગનો હુમલો આવતા કિરણબેનને છાતીમાં દુખાવો ઉપડતાં બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. પ્રૌઢાને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો પ્રાથમિક પૂછપરછમાં મૃતક કિરણબેન અઘેરાને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement