રેલનગર અંડરબ્રિજ રેડી, આજથી ખુલ્લો મુકાયો
શહેરના વોર્ડ નં. 3ના મોટાભાગના વિસ્તારોને જામનગર રોડ જોડતા રેલનગર અંડરબ્રીજમાં વર્ષો જૂની પાણી ભરાવવાની સમસ્યા દૂર કરવા માટે 5 સપ્ટેમ્બરના રોજ બ્રીજ બંધ કરવામાં આવ્યો હતો રૂા. 56 લાખના ખર્ચે વોટરપ્રુફીંગનું કામ ગઈકાલે પૂર્ણ થતા રેલનગર અંડરબ્રીજ આજથી ખુલ્લો મુકવામાં આવ્યો છે.
રાજકોટ મહાનગરપાલિકાના મેયરશ્રી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, મ્યુનિ. કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.3માં રેલનગર વિસ્તારમાં આવેલ રેલનગર અન્ડર બ્રીજમાં પાણી ભરાવવાની સમસ્યા હતી. જે અંદાજીત રૂૂ.62 લાખના ખર્ચે પી.યુ. (P.U.) પ્રેસર ગ્રાઉટીંગ તથા આર.સી.સી. સ્લેબ ભરી વચ્ચેના ભાગે રીપેરીંગ કામ પૂર્ણ કરવામાં આવેલ છે. આ કામગીરી કરવાથી શહેરીજનોને હાલાકીમાંથી મુક્તિ મળશે. તા.10/12/2023ના રોજ નાગરિકોના સરળ પરિવહન માટે બ્રિજ પુન: ખુલ્લો મુકવામાં આવેલ છે. આ બ્રિજમાં રૂૂ.12 લાખના ખર્ચે નવા રંગરોગાન અને બ્યુટીફિકેશન તથા પેઇન્ટિંગ પણ કરવામાં આવેલ છે. ભવિષ્યમાં બ્રિજના સાઈડના એપ્રોચમાં પણ આ કામગીરી કરવામાં આવશે. રેલનગર અન્ડરબ્રિજ પુન: શરૂૂ થવાથી રેલનગર અને બ્રિજની બંને તરફના વિસ્તારોના નાગરિકોને પરિવહન માટે સુગમતા રહેશે.
બ્રીજ બંધ કરાતા ઉપરવાસમાં રહેતા 90 હજારથી વધુ લોકો પરેશાન થઈ ગયા હતા. વર્ક ઓર્ડર મુજબ તા. 27 નવેમ્બર સુધીમાં કામ પૂર્ણ કરી બ્રીજ ખુલ્લો મુકવાનો થતો હતો પરંતુ સતત લીકેજ ચાલુ હોવાને કારણે તેમજ વચ્ચે વરસાદી ઝાપટાઓ આવતા કામમાં વિલંબ થતા હવે તા. 11મી ડિસેમ્બરના રોજ બ્રીજ ખુલ્લો મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બાંધકામ વિભાગના જણાવ્યા મુજબ બ્રીજનું કામ પૂર્ણ થયા બાદ પણ ચોમાસામાં પાણી લીકેજ પ્રતિક્રિયા ચાલુ રહેશે બ્રીજમાં પાણી બંધ કરવાનો હેતુ ન હતો પરંતુ બ્રીજનું ઈન્ફાસ્ટ્રક્ચર પાણીના કારણે નબળુ ન પડી જાય તે માટે પાયાથી લઈને દિવાલો સુધીના બ્રીજના મુળમાં કેમીકલ આધારીત પ્લાસ્ટર કરવામા આવ્યું છે તેવી જ રીતે બ્રીજની વચ્ચો વચ વધારાનો નવો સ્લેબ ભરી હાલ પુરતુ પાણી બંધ કરવામા આવ્યું છે. ચોમાસા દરમિયાન જો બ્રીજના બન્ને છોડોથી પાણી નિકળશે તો બન્ને છેડા ઉપર પણ વધારાનું કામ કરવામા આવશે. હાલ ફક્ત બ્રીજનું આયુષ્ય વધારવા માટે કેમીકલ આધારિત પ્રકિયા હાથ ધરવામા આવી છે અને જે કામ એક સપ્તાહમાં પૂર્ણ થઈ જતાં આજથી બ્રીજ ખુલ્લો મુકવામાં આવ્યો છે.