મોરબી પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલનો જેલવાસ લંબાયો, હાઈકોર્ટે જામીન અરજી ફગાવી
મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં આરોપી જયસુખ પટેલને મોટોે ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે નિયમિત અરજીની જયસુખ પટેલની અરજી ફગાવી દીધી છે. થોડા દિવસ પહેલા મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં આરોપી જયસુખ પટેલની જામીન અરજી પર સુનાવણી થઈ હતી. તમામ દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રખાયો હતો. સરકાર પક્ષે પણ જવાબ રજૂ કરાયો હતો.
કોર્ટમાં સરકાર પક્ષે દલીલ કરી કે, એફએસએલ રિપોર્ટમાં પણ જણાવ્યું છે કે બ્રિજ ઘણા કારણોથી નબળાઈ ધરાવે છે.
નીચલી અદાલતમાં ચાર્જફ્રેમ પ્રક્રિયા પણ હજુ બાકી છે. ઘણા બધા સાક્ષીઓ હોવાથી હજુ ટ્રાયલને ઘણો સમય લાગશે, તે સમયમર્યાદામાં પૂર્ણ થઈ શકે તેમ નથી. તે એક ઉદ્યોગપતિ છે. જેલમાં રહેવાથી તેમના ઉદ્યોગને પણ થઈ શકે છે, નુકસાન ટ્રાયલ દરિમયાન ક્યાંય નાસી ભાગી જાય તેવા આરોપી નથી. આવી દલીલો કરી સરકારી વકીલે પણ જયસુખ પટેલને જામીન મળે તો કોઈ વાંધો ઉઠાવ્યો નહોતો.
જયસુખ પટેલ તરફથી રજુઆત કરતા સિનિયર એડવોકેટ નિરુપમ નાણાવટીએ એમ પણ જણાવ્યું હતું કે આ કેસમાં અન્ય છ સહ-આરોપીઓ ત્રણ સિક્યુરિટી ગાર્ડ, બે ટિકિટિંગ ક્લાર્ક અને ઓરેવા ગ્રુપના મેનેજરને જામીન મળી ચૂક્યા છે. અન્ય આરોપોની સાથે કુલ 10 લોકો પર સદોષ માનવવધનો ગુનો દાખલ કરાયો છે. નાણાવટીએ રજૂઆત કરી હતી કે, ત્યાં બેદરકારી હોઈ શકે છે, જે ગુનાહિત બેદરકારી હોઈ શકે છે અને તે ગુનો હોઈ શકે છે, પરંતુ ત્યાં કોઈનું મૃત્યું નિપજાવવાનો કોઇ ઇરાદો નથી. જયસુખ પટેલે દિવાળીની રજાઓને કારણે પુલ પર જામેલી ભીડ સામેની બેદરકારી જવાબદાર ગણાવી હતી, જેના કારણે પુલ તૂટી પડ્યો હતો. જો સમારકામમાં ખામી હોત, તો કંઈક કરી શકાયું હોત, થોડી વધુ સાવચેતી રાખવામાં આવી શકી હોત, પરંતુ એવી ખબર ન હતી કે આટલી મોટી સંખ્યામાં લોકો જશે અને પુલ તૂટી પડશે.
બ્રિજ ટિકિટોના વેચાણમાંથી કંપની અને જયસુખ પટેલને નફો થયો હોવાના આક્ષેપોને નકારી કાઢતાં નાણાવટીએ એવી રજૂઆત કરી હતી કે રૂૂ.15ની કિંમતની 100 ટિકિટોના વેચાણનો પણ કોઈ અર્થ નથી અને કંપનીએ માત્ર જિલ્લા કલેક્ટર કચેરીના આગ્રહને કારણે જ પુલની જાળવણીનું કામ સ્વીકાર્યું હતું. જામીન અરજીનો વિરોધ કરતા ટ્રેજેડી વિક્ટિમ એસોસિએશન હેઠળ મૃત્યુ પામેલા અનેક પીડિતો વતી દલીલો કરતા એડવોકેટ રાહુલ શર્માએ રજૂઆત કરી હતી કે આ કૃત્ય સાદી બેદરકારી નહીં પણ ઘોર બેદરકારીનો કેસ છે. આરોપીને જો જામીન પર મુક્ત કરવામાં આવે તો તે પુરાવા સાથે ચેડાં કરે કે સાક્ષીઓને ધમકાવે તેવી પણ શકયતા છે.