સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલના કંપાઉન્ડમાં માનસિક આધેડનો જાત જલાવી આપઘાત
લખતર તાલુકાના બજરંગપુરા ગામે રહેતા માનસિક આધેડે પોતાની માતાને હું સુરેન્દ્રનગર આટો મારવા જાવ છું તેમ કહીને નીકળ્યા બાદ સુરેન્દ્રનગરમાં આવેલી ટીબી હોસ્પિટલના ગ્રાઉન્ડમાં જાત જલાવી આપઘાત કરી લીધો હતો. આધેડના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. આધેડના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ લખતર તાલુકાના બજરંગપુરા ગામે રહેતા અમરશીભાઈ તળશીભાઇ ચૌહાણ નામના 55 વર્ષના આધેડ સુરેન્દ્રનગરમાં આવેલી ટીબી હોસ્પિટલના ગાયનેક વિભાગ સામે આરસીસી રોડ ઉપર હતા ત્યારે સાંજના સમયે પોતાની જાતે સળગી જઈ આપઘાત કરી લીધો હતો. આધેડના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. આ ઘટનાને જાણ થતા જ સુરેન્દ્રનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ટીબી હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને આધેડના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક અમરશીભાઈ ચૌહાણ પાંચ ભાઈ બે બહેનમાં વચ્ચેટ હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે અમરશીભાઈ ચૌહાણ માનસિક બીમારીમાં સપડાયા હતા અને અમરશીભાઈ ચૌહાણે તેની માતા મોંઘીબેનને હું સુરેન્દ્રનગર આંટો મારવા જાવ છું તેમ કહીને ઘરેથી નીકળી ગયા બાદ સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલના ગ્રાઉન્ડમાં આત્મઘાતી પગલુ ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે સુરેન્દ્રનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.