For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખોડલધામ બનાવશે રિસોર્ટ જેવી કેન્સર હોસ્પિટલ

12:17 PM Dec 15, 2023 IST | Sejal barot
ખોડલધામ બનાવશે રિસોર્ટ જેવી કેન્સર હોસ્પિટલ

લેઉવા પટેલ સમાજના આસ્થાના કેન્દ્ર ખોડલધામ-કાગપડના પાટોત્સવ નિમિતે રાજકોટની ભાગોળે આવેલા અમરેલી ગામે નિર્માણ પામનાર આધુનિક કેન્સર હોસ્પિટલનું ભૂમિ પૂજન કરવામાં આવનાર છે. આ માટે ખોડલધામ કાગવડ ખાતે 21 જાન્યુઆરીએ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
પત્રકાર પરિષદમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલ તથા ટ્રસ્ટીઓ પ્રવિણભાઇ જસાણી, ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા, ભવનાભાઇ રંગાણી, રમેશભાઇ મેંદપરા, હર્ષદભાઇ માલાણી, પ્રવકતા હસમુખભાઇ લુણાગરીયા વિગેરેએ જણાવ્યુ હતુ કે, નરેશભાઇની આગેવાની હેઠળ સૌરાષ્ટ્રની સૌથી અદ્યતન હોસ્પિટલ બનાવવાનુ આયોજન છે, જેમાં પ્રથમ ફેઇઝમાં 200 બેડની ઉત્કૃષ્ટ મેડિકલ સુવિધા ઉભી કરાશે.આ હોસ્પિટલમાં નિષ્ણાતોની મદદ લઇ રિસોર્ટ જેવી સુવિધા ઉભી કરી તેમાં પેલેટિવ કેર, રિહેબિલેટશન સેન્ટર, ડે-કેર સેન્ટર, રેસિડેન્સિયલ હાઉસ, મેડિકલ કોર્ષ તેમજ સંસોધન કેન્દ્ર પણ સામેલ કરવામાં આવશે.
આ હોસ્પિટલની સેવા તમામ સમાજના લોકો માટે ઉપલબ્ધ કરાવવાનુ આયોજન છે. તેમ ટ્રસ્ટીઓએ જણાવ્યુ હતુ. પત્રકારોને સંબોધતા પ્રવિણભાઇ જસાણીએ જણાવેલ કે, શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ જ્યારથી સંગઠન અને સમાજસેવાના હેતુસહ સ્થાપિત થયું ત્યારથી સર્વ સમાજ માટે નવા નવા આયામો અને પ્રકલ્પો સાથે સમાજ વચ્ચે રહી સમાજ સેવાનું કામ કરે છે. ત્યારે 21મી જાન્યુઆરી એટલે શ્રી ખોડલધામ પરિવાર માટે સેવાના માધ્યમથી એકતા અને સંગઠનના દર્શન કરાવવાનો ગૌરવવંતો દિવસ. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના આદરણીય ચેરમેનશ્રી નરેશભાઈ પટેલે જાહેર કરેલા ત્રણ મુખ્ય પ્રકલ્પ શિક્ષણ, આરોગ્ય અને કૃષિ.. જે અંતર્ગત આગામી તારીખ 21 જાન્યુઆરી 2024ના રોજ રાજકોટ નજીકના અમરેલી ગામ મુકામે સર્વ સમાજ માટેનું એક આરોગ્ય ધામ એટલે કે અત્યાધુનિક કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજન સમારોહનું આયોજન કરાયું છે.
21 જાન્યુઆરી, 2024ના રોજ અમરેલી ગામે નિર્માણ પામનાર કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન સાત દીકરીઓના વરદ હસ્તે કરવામાં આવશે. આ ભૂમિપૂજન સમારોહ શ્રી ખોડલધામ મંદિરેથી વર્ચ્યૂઅલી સવારે 7.00 કલાકથી કરવામાં આવશે. જાહેર કાર્યક્રમ અને સ્ટેજ કાર્યક્રમ શ્રી ખોડલધામ મંદિર કાગવડ ખાતે સવારે 9.30 થી બપોરના 11.30 સુધી રહેશે.
આ પ્રકલ્પને સાર્થક બનાવવા માટેનો સંદેશ અને માહિતી ઘર-ઘર સુધી પહોંચે અને દાતાશ્રીઓને કેન્સર હોસ્પિટલના ભૂમિદાન માટે સંકલ્પબદ્ધ કરવાના શુભ આશયથી શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ આગામી તારીખ 17 ડિસેમ્બર 2023ના રોજ દેવાધિ દેવ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવીને પ્રવાસની શરૂૂઆત કરશે અને 6 જાન્યુઆરી સુધી આ પ્રવાસ ચાલશે. સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્રના વિવિધ સ્થળોની મુલાકાત લેશે. આ પ્રવાસ દરમિયાન નરેશભાઈ પટેલ સમસ્ત ગુજરાત અને ગુજરાત બહાર વસતા શ્રી ખોડલધામ પરિવારના તમામ ભાઈઓ-બહેનોને રૂૂબરૂૂ મળીને આ કેન્સર હોસ્પિટલના પ્રકલ્પ અંગે માહિતગાર કરશે અને દાતાશ્રીઓને કેન્સર હોસ્પિટલમાં ભૂમિદાન કરી આ સેવાકીય કાર્યમાં જોડાવા આહ્વાન કરશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement