માલિયાસણ પાસેથી મળેલા યુવાને ઝેર પી આપઘાત કર્યાનું ખુલ્યુ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો
રાજકોટ નજીકના નવાગામની રંગીલા સોસાયટીમાં રહેતાં અને ઘર નજીક પાનની કેબીન ધરાવતાં ઘનશ્યામભાઈ છગનભાઈ મેર (ઉ.વ.32) ગઈ તા.6ના રોજ ઘેરથી નીકળા ગયા બાદ શનિવારે તેની માલીયાસણ નજીકથી લાશ મળી આવી હતી. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ ઘનશ્યામભાઈએ ઝેર પીવાથી મોત થયાનું પોલીસે જણાવ્યું હતું.શનિવારે ઘનશ્યામભાઈની લાશ મળી આવી હતી. શરૂૂઆતમાં પોલીસને અકસ્માતમાં ઈજાને કારણે મોત થયાનું જણાયું હતું.મોતનું ચોકકસ કારણ જાણવા પોલીસે ફોરેન્સીક નિષ્ણાંત તબીબો પાસે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.તબીબોએ ઝેર પીવાથી મોત થયાનો અભિપ્રાય આપ્યો હતો.
રવિવારે સવારથી પોસ્ટમોર્ટમ રૂૂમ ખાતે મૃતકના પરિવારના સભ્યો, સગા- સંબંધીઓ, પાડોશીઓ વગેરે મોટી સંખ્યામાં એકત્રીત થયા હતા. પરિવારના સભ્યોએ બનાવ હત્યાનો હોવાનો આક્ષેપ કર્યો હતો.પરંતુ પોસ્ટમોર્ટમમાં ઝેર પીવાથી મોત થયાનો અભિપ્રાય આવ્યા છતાં પરિવારના સભ્યોએ બનાવ હત્યાનો જ હોવાનો અને મૃતકને કોઈએ બળજબરીથી ઝેર પીવડાવી દીધાનો આક્ષેપ કરી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દેતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
આખરે પોલીસે મૃતકના સંબંધીઓની તબીબો સાથે પણ મુલાકાત કરાવી હતી.સમાજના આગેવાનોને પણ પોલીસે સમજાવટ કરતાં આખરે સાંજે પરિવારના સભ્યોએ મૃતદેહ સ્વીકારી લીધો હતો.કુવાડવા પોલીસના પીએસઆઈ જયુભા પરમારે મૃતકના સંબંધીઓને ખાતરી આપી હતી કે આ કેસની પોલીસ તટસ્થ રીતે તપાસ કરશે. ભવિષ્યમાં જો કોઈએ મૃતકને ઝેરી દવા પીવડાવ્યાનું ખુલશે તો તે મુજબ પણ કાર્યવાહી કરાશે.જોકે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મૃતકના શરીર ઉપરથી ઈજાના કોઈ નિશાન નહી મળ્યાનું પોસ્ટમોર્ટમ રીપોર્ટ પરથી સ્પષ્ટ બન્યું છે.