રીબડાને નિર્ભય બનાવવા આપેલું વચન મેં પૂર્ણ કર્યુ : જયરાજસિંહ જાડેજા
ગોંડલ પંથક માં છેલ્લા કેટલાક સમયથી રીબડા જુથ અને જયરાજસિહ જાડેજા વચ્ચેની અસ્તિત્વ ની લડાઈ પરાકાષટા પર પંહોચી છે.ત્યારે ગત વર્ષે આ તારીખે જયરાજસિહ જાડેજાએ રીબડા માં યોજેલી જાહેરસભા શોશ્યલ મીડીયા સહીત લાઇમલાઇટ બની હતી.એ ઘટના નાં એક વર્ષ બાદ રીબડામાં જયરાજસિહ નાં સમર્થન સાથે રીબડા લેઉવા પટેલ સમાજ દ્વારા રીબડા ખાતે પાટીદાર સમાજનાં મહા સંમેલનનું આયોજન થતા માહોલ ગરમાયો હતો.
રીબડા લેઉવા પટેલ સમાજ દ્વારા સર્વ જ્ઞાતિઓને સાથે રાખી યોજાયેલા સંમેલનમાં ઉપસ્થિત પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા એ રીબડા જૂથ ઉપર કટાક્ષ કરવામાં કોઈ કસર છોડી ન હતી. તેમણે કહ્યું કે રીબડા નજીક પ્રધાનમંત્રી ના ફોટા સાથે ભાજપની કામગીરીને બિરદાવતું હેડિંગ મારેલું છે. નીચે એક વ્યક્તિ નો હાથ જોડેલો ફોટો છે. તેમણે સવાલ કર્યો કે અરે ભાઈ ચૂંટણીમાં તમે ભાજપમાં નથી એવું તમે જ કહેલું તો પછી આવા દેખાડા શા માટે ? તેમણે કટાક્ષમાં કહ્યું કે આ તો લગ્ન કોઈના અને હરખ કોઈનો એવું થયું. જયરાજસિંહ એ કહ્યું કે રીબડા પંથકમાં ખૂબ જ ઇન્ડસ્ટ્રીઓ આવેલી છે. એક સમયે તેની પરિસ્થિતિ ખરાબ હતી. બહારના ઉદ્યોગકારો રીબડામાં જમીન ખરીદવામાં હજુ સંકોચ અનુભવે છે પરંતુ મારું તેઓને આહવાન છે કે ચિંતા મુક્ત બનીને અહીં આવો અને શાંતિપૂર્ણ આપનો ઉદ્યોગ ચલાવો કોઈપણ સમસ્યા થાય તો જવાબદારી મારી રહેશે તેમણે કહ્યું કે હવે રીબડાના યુવાનો નિર્ભય બન્યા છે કોઈપણની દાદાગીરી સહન કરે તેવા નથી રીબડાનો ઉતરોતર વિકાસ થશે એક વર્ષ પહેલા આ દિવસે રીબડા માં જાહેર સભા ભરી મે રીબડાની પ્રજાને અભયવચન આપ્યું હતું આજે ફરી એ વાતને દોહરાવું છું.
સંમેલન માં ઉપસ્થિત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરા એ કહ્યુ કે ગુજરાતમાં જ્ઞાતિ જાતિના રાજકારણથી જો કોઈ પર હોય તો એ ગોંડલ છે જે જયરાજસિંહને આભારી છે તેમણે ભાજપ સરકારના વિકાસ કાર્યોને વર્ણવ્યા હતા.યુવા અગ્રણી ગણેશભાઈ જાડેજાએ જણાવ્યું કે રીબડા ના લોકોને એક વર્ષ દરમિયાન કોઈ તકલીફ પડવા દિધી નથી. હજુ પણ રીબડાના પટેલ સમાજને ટાર્ગેટ કરાશે કે અન્ય સમાજના લોકોને હેરાન કરાશે તો સાખી લેવાશે નહીં. જે રીતે જવાબ આપવો પડે તે તૈયારી સાથે મેદાનમાં અમે આગળ હોઈશું. રીબડા માં દર વર્ષે આ રીતે સ્નેહમિલન અને સંમેલન યોજાશે.અમારો પરીવાર લોકો વચ્ચે રહેછે.અને કાયમ રહેશે. લોઠડા એસોસિએશનના જેન્તીભાઈ સરધારા એ જણાવ્યું કે જયરાજસિંહ સ્પષ્ટ વક્તા છે એ ગદ્દારી કરતા નથી. સામા પક્ષે શું છે એ બધા જાણે છે. તેમણે રીબડા ના યુવાનોને કહ્યું કે મન મજબૂત બનાવજો અને નીડર બનજો અન્ય વક્તા જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, બટુકભાઈ ઠુંમર, ગોપાલભાઈ શિંગાળા, મગનભાઈ ગોળીયા, કનકસિંહ જાડેજા તથા રાજેન્દ્રસિંહ જાડેજાએ વક્તવ્ય મા કોઈના નામ લીધા વગર કહ્યું કે દેશને આઝાદ થયા 75 વર્ષ થયા પણ રીબડાને આઝાદ થયો એક વર્ષ થયું છે આજે આ સંમેલન આઝાદીના જશ્રન સમૂ છે પહેલા રીબડા નજીક પહોચો એટલે કાયદો અને વ્યવસ્થા પૂરી થતી હતી. પરંતુ હવે પરિસ્થિતિ જુદી છે રીબડા નો ઇતિહાસ બદલવા બદલ રીબડા ના યુવાનોને તેમણે બિરદાવ્યા હતા. સંમેલન માં ધારાસભ્ય ગીતાબા જાડેજા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.સંચાલન તથા વ્યવસ્થા અશોકભાઈ પીપળીયા, બાઉભાઇ ટોળીયા તથા રીબડા લેઉવા પટેલ સમાજ ના યુવાનો એ સંભાળી હતી. રીબડામાં રીબડાનાં લેઉવા પટેલ સમાજ દ્વારા સંમેલન ની જાહેરાત ના પગલે સમગ્ર પંથકમાં ઉતેજનાનો માહોલ સર્જાયો હતો.અને કંઇક નવાજુની થશે.તેવી ચર્ચાઓ એ જોર પકડયુ હતુ.પોલીસ તંત્ર પણ એલર્ટ બન્યુ હોય તેમ એક ડીવાયએસપી સાત પીએસઆઇ તથા સો જેટલા પોલીસમેન સહિત ના કાફલા નો ચુસ્ત બંદોબસ્ત રીબડા તથા સંમેલન સ્થળે ગોઠવી દેવાયો હતો.રીબડા પંથક ઉપરાંત શાપર વેરાવળ ના ઉદ્યોગપતિઓ,આગેવાનો,જીલ્લા તાલુકા પંચાયત નાં સદસ્યો સહિત લોકો સંમેલન મા ઉમટી પડ્યા હતા.71 ગામડા ના સરપંચો હાજર રહ્યા નો દાવો આયોજકો એ કર્યો હતો.