રાજકોટમાં ત્રણ ATM તોડી ચોરીનો પ્રયાસ કરનાર ટોળકી ઝબ્બે: વધુ ગુનાનાં ભેદ ઉકેલાશે
રાજકોટમાં ત્રણ સ્થળે એસબીઆઈના એટીએમ તોડવાનો પ્રયાસ થયો હતો. આ અંગે ભક્તિનગર, ગાંધીગ્રામ અને ગાંધીગ્રામ-ર પોલીસ મથકમાં ફરિયાદો નોંધાઈ છે. આ ત્રણેય બનાવમાં પરપ્રાંતના બે શખ્સોની સંડોવણી ખુલી છે. બંનેને ક્રાઈમ બ્રાંચે સકંજામાં લઈ તપાસ કરતા હજુ વધુ ગુન્હાના ભેદ ઉકેલાય તેવી શંકા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, નારાયણનગરમાં આવેલું એટીએમ ગઈ તા.6ના રોજ રાત્રે તોડવાનો પ્રયાસ થયો હતો.બે અજાણ્યા શખ્સોએ આ એટીએમમાં આવી રૂપિયા ઉપાડયા બાદ કોઈ પાના જેવા સાધન વડે એટીએમનું શટર તોડવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં નિષ્ફળતા મળતા જતાં રહ્યા બાદ રાત્રે 11:30 વાગ્યાની આસપાસ ડીસમીશ જેવું સાધન લઈ ફરીથી એટીએમમાં આવી તેનું શટર તોડવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ નિષ્ફળતા મળતા જતા રહ્યા હતા.ભક્તિનગર પોલીસે બીજા દિવસે એસબીઆઈના અધિકારીઓને આ અંગે જાણ કરતાં તપાસ કરી હતી. જેમાં રૂા.18 હજારની નુકશાની થયાનું જાણવા મળ્યું હતું..
બીજા બનાવમાં રૈયા રોડ પર સદ્દગુરૂ કોમ્પ્લેક્ષની સામે આવેલું એસબીઆઈનું એટીએમ તોડવાનો પ્રયાસ થયો હતો.જેમાં રૂૂા.45 હજારની નુકશાની ગઈ હતી.
રૈયા ચોકડી પાસે આવેલું એસબીઆઈનું ત્રીજું એટીએમ તોડવાનો પણ પ્રયાસ થયો હતો. જેને કારણે રૂૂા. 15 હજારની નુકશાની થઈ હતી.
જવાહર રોડ પર એસબીઆઈની મેઈન શાખામાં કેશ ઓફિસર તરીકે ફરજ બજાવતાં હસમુખભાઈ ગુલાબભાઈ પટેલ (ઉ.વ.58, રહે. જયુબેલી ટેલીફોન એક્ષચેંજની પાછળ)એ ત્રણેય એટીએમ ચોરી અંગે ફરિયાદો નોંધાવી છે.
આ ત્રણેય બનાવોને આધારે સ્થાનિક પોલીસ સાથે ક્રાઈમ બ્રાંચે પણ તપાસમાં ઝુકાવી ત્રણેય એટીએમમાં ત્રાટકનાર બે પરપ્રાંતિય શખ્સોને ઝડપી લીધા હતા.
પ્રાથમિક તપાસમાં પોલીસને આ બંને શખ્સો બીજા રાજયોમાં પણ આ રીતે ઘણાં એટીએમ તોડવાનો પ્રયાસ કરી ચુક્યા છે. અમુકમાં સફળતા જયારે અમુકમાં નિષ્ફળતા મળ્યાની માહિતી ક્રાઇમ બ્રાન્ચે આપી છે.