ભંગારના ધંધાર્થીનો આર્થિક ભીંસથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત
રાજકોટ શહેર રાજ્યભરમાં આર્થિક ભીંસના કારણે અનેક પરિવારોના માળા પીંખાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક ઘટનામાં રાજકોટમાં કોઠારીયા રોડ પર ગ્રીન પાર્ક મેઈન રોડ પર રહેતા ભંગારના ધંધાર્થીએ આર્થિક ભીંસથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ત્રણ બહેનોના એકના એક ભાઈના મોતથી પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, કોઠારીયા રોડ પર આવેલા ગ્રીન પાર્ક મેઈન રોડ પર રહેતા અનેક માંડા ડુંગર વિસ્તારમાં ભંગારનો ડેલો ચલાવતાં નિલય દામજીભાઈ ભંડેરી નામનો 28 વર્ષનો યુવાન પોતાના ઘરે ઉપરના માળે હતો ત્યારે રાત્રિના કોઈ સમયે પંખામાં દોરી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
યુવકના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
આ ઘટના અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે જરૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો.
આ અંગે પ્રાથમિક પુછપરછમાં મૃતક નિલય ભંડેરી ત્રણ બહેનોનો એકનો એક નાનો ભાઈ હતો. નિલય ભંડેરી માંડા ડુંગર વિસ્તારમાં ભંગારનો ડેલા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.
નિલય ભંડેરી પોતાના રૂમમાં સુતો હતો ત્યારે મધરાત્રે ગળેફાંસો ખાઈ લીધો હતો. પરિવાર સવારે જગાડવા જતાં નિલય નહી ઉઠતાં પરિવારે દરવાજો તોડી અંદર જોતા નિલય ભંડેરીનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ લટકતો જોવા મળ્યો હતો.
નિલય ભંડેરીએ આર્થિક ભીંસથી કંટાળી આત્મઘાતી પગલું ભર્યુ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે વધુ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.