પડધરીના ખોખરી ગામે હત્યા કરી દાટી દેવાયેલી લાશ મળી
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખોખરી ગામે ગઈકાલે સાંજે વાડીએ આંટો દેવા ગયેલા માલીકને વાડીમાંથી અસહ્ય દુર્ગંધ આવતા અને મજુરી કામે રાખેલ આદીવાસી દંપતિ નજરે નહીં ચડતા કંઈક અજુગતુ થયાની શંકાએ પોલીસને જાણ કરતા મોડીરાત્રે પોલીસે વાડી પાસે દાટી દેવાયેલ આદીવાસી યુવતિની લાશ બહાર કાઢી ફોરેન્સીક પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી છે. અને આદીવાસી યુવતિના પતિની સઘન શોધખોળ શરૂ કરી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ પડધરી તાલુકાના ખોખરી ગામે રહેતા કનકસિંહ જાડેજા ગઈકાલે સાંજે પોતાની વાડીએ આટો દેવા ગયા હતા ત્યારે વાડીમાં અસહ્ય દુર્ગંધ આવતી હોય અને વાડીમાં મજુરી કામ કરતા આદીવાસી દંપતિ પણ નજરે નહીં પડતા કંઈક અજુગતુ થયાની શંકાએ પડધરી પોલીસને જાણ કરી હતી.
આ બનાવની જાણ થતા પડધરી પીએસઆઈ ગજેન્દ્રસિંહ ઝાલા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ તપાસ કરતા વાડીમાંથી દાટી દેવાયેલ કેશરબેન સંતોષભાઈ ગુડિયા ઉ.વ.35ની લાશ મળી આવી હતી. જ્યારે તેનો પતિ સંતોષ ગુડિયા લાપતા થઈ ગયો છે.
પોલીસે આદીવાસી યુવતિના મોતનું ચોક્કસ કારણ જાણવા લાશને ફોરેન્સીક પોર્સ્ટમોર્ટમ અર્થે રાજકોટની મેડીકલ કોલેજમાં મોકલી આપવામાં આવ્યો છે. જ્યાં ફોરેન્સીક પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ જ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જાણવા મળે છે.
પોલીસની પ્રાથમિક પુછપરછમાં આદીવાસી યુવતિની તેના પતિએ જ ઠંડા કલેજે હત્યા કરી લાશ દાટી દઈ આરોપી પતિ ભુગર્ભમાં ઉતરી ગયાની શંકા વ્યક્ત કરી છે. જો કે, આદીવાસી યુવતિનું મોત કેવી રીતે થયું તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ જાણી શકાશે.
આ ઘટનામાં પડધરી પોલીસે ભુગર્ભમાં ઉતરી ગયેલા આદીવાસી યુવાન સંતોષ ગુડિયાની સઘન શોધખોળ શરૂ કરવામાં આવી છે.