નકલી ટોલનાકાકાંડમાં અંતે કમિટીની રચના કરી સોંપાઇ તપાસ
મોરબી જિલ્લાના વઘાસીયા ગામ પાસેથી ઝડપાયેલ નકલી ટોલનાકાની તપાસ માટે અંતે રાજય સરકારે કમીટીની રચના કરી છે અને આ કમીટીની પ્રથમ બેઠક આજે સવારે વઘાસીયા ટોલનાકા ખાતે જ મળી હતી.
વાંકાનેર- મોરબી નેશનલ હાઇવે ઉપર વઘાસીયા ટોલનાકાની બાજુમાં જ સમાંતર નકલી ટોલનાકુ ઉભુ કરી છેલ્લા દોઢ વર્ષથી વાહન ચાલકો પાસેથી ખુલ્લેઆમ થતા ઉઘરાણાનો મીડીયાએ પર્દાફાશ કર્યા બાદ સરકાર સફાળી જાગી હતી અને સિદસર ઉમિયા ધામના પ્રખુખ જેરામભાઇ વાંસજાળીયાના પુત્ર સહીત પાંચ શખ્સો સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો.
હવે આ કાંડની તાપસ માટે સ્થાનિક મામલતદાર, ટીડીઓ, પોલીસ ઇન્સ્પેકટર અને નેશનલ હાઇવે ઓથોરીટીના અધિકારીની કમીટી બનાવી તપાસ સોંપવામાં આવતા આ કમીટીના સભ્યોની આજે સવારે વઘાસીયા ટોલનાકા ખાતે જ પ્રથમ બેઠક મળી હતી.
જો કે આ પ્રકરણમાં ફરીયાદ નોંધાયા બાદ પાંચ પૈકી એકપણ શખ્સની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી કે આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા કોઇ સ્થળે તપાસ પણ કરવામાં આવી નથી.
બીજી તરફ નકલી ટોલનાકા પ્રકરણમાં સિદસર ઉમીયાધામના પ્રમુખ જેરામભાઇ પટેલના પુત્ર અમરશી પટેલનું નામ ખુલતા તેેમણે પોતાની ફેકટરી ભાડા કરારથી ભાડે આપી હોવાનું જણાવી પુરાવા મોરબીના એસ.પી. સમક્ષ રજુ કર્યા હતા.
કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત મોરબી જિલ્લાના વઘાસીયા પાસે આવેલ ટોલનાકા ઉપરથી પસાર થતા વાહન ચાલકો પાસેથી નિયમ પ્રમાણે સેફ વે કંપની દ્વારા ટોલટેક્સ વસૂલ કરવામાં આવે છે. જોકે વઘાસિયા ટોલનાકાની બંને બાજુએ ગેરકાયદેસર ટોલનાકા શરૂૂ કરી દેવામાં આવ્યા હતા અને ત્યાંથી પસાર થતાં વાહન ચાલકો પાસેથી ગેરકાયદે ઉઘરાણા કરવામાં આવતા હતા. આ સમગ્ર મામલો જ્યારે મીડિયામાં ઉજાગર થયો ત્યારબાદ કલેક્ટર, પોલીસ અને વહીવટી તંત્ર વિગેરે દોડતા થયા હતા અને ગઈકાલે સવારથી આ સમાચારો પ્રસિદ્ધ થયા બાદ સાંજ સુધીમાં વાઈટ હાઉસ કારખાનાના માલિક અમરશીભાઈ જેરામભાઈ પટેલ, વઘાસિયા ગામના માજી સરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિત કુલ મળીને પાંચ શખ્સોની સામે વિશ્વાસઘાત છેતરપિંડી અને ઠગાઈની ફરિયાદ નોંધવામાં આવી છે. જોકે હજુ સુધી આ ગુનામાં કોઈ આરોપીની ધરપકડ થયેલ નથી. પરંતુ ટોલ પ્લાઝાનું કામ કરતી એજન્સી દ્વારા ગેરકાયદે જે ટોલનાકા બનાવવામાં આવ્યા હતા તે તરફ આવવા જવાના રસ્તા ઉપર આડશ ઉભી કરીને ત્યાં પોતાના કર્મચારીઓને મૂકવામાં આવ્યા છે. તેમજ કેટલીક જગ્યાએ રસ્તામાં જેસીબી થી ખાડા ખોદીને રસ્તા ઉપર વાહનોની અવરજવર ન થઈ શકે તે પ્રકારે રસ્તાને બંધ કરવામાં આવ્યા છે.
વધુમાં સૂત્રો પાસેથી જાણવા્ મળતી પ્રમાણે અગાઉ દૈનિક આ ટોલ પ્લાઝા ઉપરથી 24 કલાકમાં 7000 જેટલા વાહનોની અવરજવર થતી હતી. જોકે ગેરકાયદે ટોલનાકા બંધ કરાવવામાં આવ્યા બાદ આઠ કલાકમાં 300 થી 350 જેટલા વાહનોની સંખ્યામાં વધારો થયો છે અને દૈનિક આવકમાં રૂા.દોઢ લાખનો વધારો થયો છે. આગામી દિવસોમાં 800 થી એક હજાર જેટલા વાહનોની સંખ્યા દૈનિક આ ટોલનાકા ઉપરથી વધે તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે