માતાએ અભ્યાસ કરવા માટે સલાહ આપી તો ધોરણ-7ની છાત્રાએ ગળેફાંસો ખાધો
ભાર વિનાના ભણતરના સ્લોગન વચ્ચે અનેક વિદ્યાર્થીઓએ આત્મઘાથી પગલા ભર્યા હોવાની અનેક ઘટના પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં રાજકોટમાં રહેતી અને ધો.7માં અભ્યાસ કરતી છાત્રાએ નહીં ભણવાની જીદ પકડી હતી ત્યારે માતાએ ભણવા માટે સલાહ આપતા પુત્રીએ ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો તરુણીને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં આજીડેમ ચોકડી પાસે આવેલા યુવરાજનગર મફતિયાપરા વિસ્તારમાં રહેતી કિંજલબેન ભરતભાઈ ગોડકીયા નામની 13 વર્ષની તરુણી પોતાના ઘરે હતી ત્યારે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં પાઇપમાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો કિંજલને ગળેફાંસો ખાતા તેની માતા વનીતાબેન જોઈ જતા તાત્કાલિક બચાવી લીધી હતી અને તરુણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં કિંજલ પાંચ બહેનમાં વચ્ચેટ છે તેના પિતા કારખાનામાં નોકરી કરે છે કિંજલ ધો.7માં અભ્યાસ કરે છે અને હવે નહીં ભણવાની જીદ કરતી હતી ત્યારે માતા વનિતાબેને તું ધોરણ આઠ સુધી અભ્યાસ કરી લે બાદમાં ન ભણતી તેવું સમજાવતા કિંજલને લાગી આવતા ગળેફાંસો ખાઈ લીધો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.