રાજકોટના એડિશનલ કલેક્ટર અને રૂડાના સીઈઓની ખાલી પડેલી જગ્યા ભરાઈ
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ચુંટણીની તડામાર તૈયારીના ભાગરૂપે રાજ્યના સરકાર દ્વારા વહીવટી તંત્રમાં મોટાપાયે બદલીનો ઘાણવો કાઢ્યો છે. જેમાં રાજ્યના જીએએસ કેડરના 110 જેટલા એડીશનલ કલેક્ટરોની બદલીના હુકમ કર્યા છે જેમાં રાજકોટની મહત્વની એડીશનલ કલેક્ટરની અને રૂડાના સીઈઓની વર્ષોથી ખાલી પડેલી જગ્યા ભરાઈ છે.
લોકસભાની ચુંટણીની તૈયારી ચાલી રહી છે. ત્યારે ચુંટણી લક્ષી કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા મોડી રાત્રે વહીવટીતંત્રમાં બદલીના મોટાપાયે હુકમ કરવામાં આવ્યા છે.
રાજ્યસરકારના મહેસુલ વિભાગે મોડીરાત્રે જીએએસ કેડરના 110 જેટલા એડીશીલ કલેક્ટરોની બદલીના હુકમ કર્યા છે. મોડીરાત્રે થયેલા બદલીના હુકમમાં રાજકોટના એડીશનલ કલેક્ટર તરીકે નર્મદા જિલ્લાના અધિક કલેક્ટર ચેતન ગાંધીની નિમણુંક કરવામાં આવી છે. જ્યારે એડીશનલ કલેક્ટરના ચાર્જમાં રહેલા એસ.જે. ખાચરને ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવી છે.
આ ઉપરાંત વર્ષોથી ખાલી પડેલી રાજકોટ રૂડાના ચીફ એજ્યુકેટીવ તરીકે જી.વી. મીયાણીની નિમણુંક કરવામાં આવી છે.
જ્યારે રાજકોટ ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક આર.એસ. ઠુમ્મરની ભાવનગર લેન્ડ રેકર્ડના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે બદલી કરવામા આવી છે. અને તેમના સ્થાને અમરેલીના એ.કે. વસ્તાલની ડી.આર.ડી.ઓ તરીકે નિમણુંક કરવામાં આવી છે.
રાજ્ય સરકારે ત્રણ આઈ.એ.એસ. અધિકારીઓની પણ બદલીના હુકમ કર્યા છે. વિદેહ ખરે સુરત ડેપ્યુટી કમિશનર તરીકે મુકવામાં આવ્યા છે. જ્યારે કે.એસ. વસાવાને દક્ષીણ ગુજરાત વિજ કંપનીમાં અને યોગેશ ચૌધરીને સુરત ચુડાના સીઈઓ તરીકે મુકવામાં આવ્યા છે.