કેન્દ્રીય મંત્રી રૂપાલાનો નકલી પી.એ.ઝડપાયો
રાજ્ય સહિત દેશભરમાં નકલી અધિકારીઓનો રાફડા ફાટી નીકળ્યો છે. થોડા સમય પહેલા નકલી પી.એમ.ઓ. દ્વારા કાશ્મીરમાં વી.વી.આઈ.પી.સવલત મેળવી હતી. જેના કારસ્તાનો બહાર આવ્યા હતાં. ત્યારબાદ ગુજરાતમાં પણ નકલી અધિકારીઓ અને મંત્રીઓના નામે ઠગ ભગતો ગમે તેવા કામ કઢાવી લેતાં હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. જેમાં ગઈકાલે કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાના પર્સનલ આસીસ્ટન્ટ તરીકે માનવ મંદિર આશ્રમના ટ્રસ્ટીને ધમકાવનાર શખ્સની પોલીસે ધરપકડ કરી તેની સામે ગુનો દાખલ કર્યો છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, અમરેલી હનુમાનપરા શેરી નં.5માં રહેતા અને કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાનો અમરેલી ખાતે આવેલ કાર્યાલયનો વહીવટ સંભાળતાં હિરેન લાભુભાઈ વાળા (ઉ.32)એ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે અજાણ્યા શખ્સનું નામ આપ્યું છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે અજાણ્યા શખ્સે ગત તા.29-11-23નાં સાવરકુંડલાના હાથસણી ગામે આવેલ માનવ મંદિર આશ્રમના ટ્રસ્ટી મનસુખભાઈ વસોયાને ફોન કરી પોતાની ઓળખ પરસોતમ રૂપાલાના પી.એ.તરીકે આપી તમારા આશ્રમમાં માનસિક અસ્થિર વ્યક્તિને દાખલ કરવો છે તેમ કહ્યું હતું.
આશ્રમના ટ્રસ્ટીએ મહિલા માનસિક અસ્થિર ને જ આશ્રમમાં રાખવામાં આવતાં હોવાનું જણાવી પુરૂષને આશ્રમમાં દાખલ કરવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ થોડીવાર પછી અજાણ્યા શખ્સે ફોન કરી તમારી 11 લાખની ગ્રાંટ મંજુર થવાની હતી તે હું સરકારમાંથી મંજુર કરાવી દઈ પરતુ હવે તમને આ ગ્રાંટ નહીં મળે તેમ કહી તમને કોથળા મોંઢે ધર્માદો આપી છી, તેમ કહી ફોન કાપી નાખ્યો હતો.
માનવ મંદિર આશ્રમના ટ્રસ્ટીએ અજાણ્યા શખ્સના બન્ને ફોન રેકોર્ડીંગ કરી લીધા હોય જે અંગે તપાસ કરતાં ફોન કરનાર વ્યક્તિ પરસોતમ રૂપાલાના પી.એ. નહીં હોવાનું માલુમ પડયું હતું. જે અંગે પરસોતમ રૂપાલાના કાર્યાલય મંત્રી હિરેનભાઈને વાત કરી હતી.
આ બનાવ બાબતે અમરેલી એલસીબીને જાણ કરતાં પોલીસે મોબાઈલ નંબરના આધારે ગણતરીના કલાકોમાં જ અમરેલી રહેતા ભાવેશ ગોયાણી નામના શખ્સની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.