આટકોટના બળધોઈ પાસે કારની ઠોકરે બાઈક ચડી જતાં કાકા ભત્રીજાના મોત
રાજ્યના ધોરી માર્ગો પર જીવલેણ અકસ્માતોની ઘટના રોજીંદી બની ગઈ છે ત્યારે ગઈકાલે બપોરે જસદણનાં બળધોઈ ગામના પાટીયા પાસે પુરઝડપે આવતી કારે ડબલ સવારી બાઈકને ઠોકરે ચડાવતાં શિવરાજપુરના કાકા ભત્રીજાને ગંભીર ઈજા સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ બન્નેના સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નિપજ્યા હતાં.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, જસદણનાં શિવરાજપુર ગામે રહેતા રમેશભાઈ ઘોઘાભાઈ સરીયા અને તેમનો કૌટુંબીક ભત્રીજો સંજય ધીરૂભાઈ સરીયા ગઈકાલે બપોરે બાઈક લઈ બળધોઈ ગામે બળદ જોવા માટે નીકળીયા હતાં. કાકો ભત્રીજો બાઈક પર બળધોઈ જતાં હતાં ત્યારે હાઈ-વે પર પુરઝડપે આવતી કારે ડબલ સવારી બાઈકને હડફેટે લેતાં કાકો ભત્રીજો ફંગોળાઈને રોડ પર પટકાયા હતાં. જેઓને ગંભીર ઈજા સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ બન્નેના સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નિપજ્યા હતાં.
આ બનાવની જાણ થતાં આટકોટ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. જો કે કાર ચાલક અકસ્માત સર્જીને ઘટના સ્થળે જ કાર રેઢી મુકી નાસી છુટયો હતો. આ બનાવ અંગે પોલીસે શિવરાજપુર ગામે રહેતાં ભુપતભાઈ ધીરૂભાઈ સરીયા (ઉ.31)ની ફરિયાદ પરથી કાર ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની તપાસમાં મૃતક યુવાન સંજય સરીયા ત્રણ ભાઈમાં સૌથી નાનો હોવાનું અને અપરિણીત હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે કાકો ભત્રીજો ખેતીની સાથોસાથ માલ-ઢોરની લે-વેચ કરતાં હોવાનું જાણવા મળ્યું છે. બનાવની તપાસ આટકોટના પીએસઆઈ આઈ. એમ. સરવૈયા સહિતનો સ્ટાફ ચલાવી રહ્યો છે.