વધુ બેના હાર્ટ બેસી ગયા: આધેડ અને મહિલાનું મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં અનેક લોકોના હદય રોગના હુમલાથી શ્વાસ થંભી ગયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે રાજકોટમાં વધુ આધેડ અને મહિલાનું હૃદય રોગના હુમલાથી મોત નીપજતા બંનેના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.
જાણવા મળતી વિગત મુજબ, કોઠારીયા મેઇન રોડ ઉપર આવેલા આશાપુરા નગરમાં રહેતા લાલજીભાઈ કેશુભાઈ ડાભી નામના 52 વર્ષના આધેડ સાંજના સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. આધેડને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી આધેડનું હદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.પ્રાથમિક પૂછપરછમાં મૃતક લાલજીભાઈ ડાભી ત્રણ ભાઈ એક બહેનમાં વચ્ચેટ હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ભક્તિનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં કોઠારિયા રોડ પર ગોવિંદનગરમાં રહેતા મનીષાબેન ભરતભાઈ કમાણી (ઉ.48) આજે સવારે પોતાના ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઈ જતા તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમનું હાર્ટ એટેકથી મોત નિપજયુ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.તેમને સંતાનમાં એક પુત્ર એક પુત્રી છે તેમના પતિ કારખાનામાં મજૂરી કામ કરે છે.આ બનાવ અંગે ભક્તિનગર પોલીસના એએસઆઈ જગરેલા અને સ્ટાફે વધુ તપાસ આદરી છે.
વાવડીના કારખાનેદારનું બેભાન થઇ જતા મોત
શહેરના સત્યસાઇ હોસ્પિટલ પાછળ મારૂતિ પાર્કમાં રહેતા અલ્પેશભાઇ જયસુખભાઇ કાચા (ઉ.વ.46) નામના આધેડ ગઇકાલે સાંજે વાવડી ગામે આવેલા તેના પરફેકટ સિરામિક નામના કારખાનામાં હતા ત્યારે કોઇ કારણસર બેભાન થઇ જતાં તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ અહીં તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે તાલુકા પોલીસ મથકના છે. કોન્સ. પ્રવિણભાઇ જીલરીયા દોડી ગયા હતા. મૃતક અલ્પેશભાઇને હાર્ટએટેક આવ્યો કે અન્ય કારણ તે જાણવા વિશેરા લેવામાં આવ્યા છે.