વધુ ત્રણ હાર્ટફેઈલ: ત્રણ ખેડૂતના હાર્ટએટેકથી મોત
રાજકોટમાં હાર્ટ એટેકે ઉપાડો લીધો હોય તેમ હદય રોગના હુમલાથી અનેક માનવ જિંદગીના શ્વાસ થંભી રહ્યા છે ત્યારે વધુ ત્રણ વ્યક્તિના હૃદય રોગના હુમલાથી મોત નિપજ્યા છે. જેમાં જસદણના ભાડલામાં યુવાન, કલાવડના નિકવામાં આધેડ અને હરિપરમાં શ્રમિકને હાર્ટ એટેક ભરખી જતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જસદણ તાલુકાના ભાડલા વેરાવળ ગામે રાયધન તળશીભાઇ મેતાડીયા નામનો 40 વર્ષનો યુવાન રાત્રિના નવેક વાગ્યાના અરસામાં ધનજીભાઈની વાડીએ હતો ત્યારે તેને અચાનક છાતીમાં દુખાવો ઉપાડતા બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે યુવકનું હૃદય રોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં રાયધનભાઈ પાંચ ભાઈ એક બહેનમાં વચ્ચે હતો અને તેને સંતાનમાં એક પુત્ર છે રાયધનભાઈ મેતાડીયાનું હૃદય રોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત બીજા બનાવમાં કાલાવડ તાલુકા ના નીકાવા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા પંકજભાઈ રણછોડભાઈ મોરડ નામના 50 વર્ષના ખેડૂતને ગઈકાલે બપોરે પોતાના ઘેર છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, અને તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તેઓનું હાર્ટ એટેક ના કારણે મૃત્યુ થયું હોવાનું તબીબ દ્વારા જાહેર કરાયું હતું. આધેડના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવ અંગે કાંતિભાઈ ભીખાભાઈ મોરડ એ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. ત્રીજા બનાવમાં કાલાવડ તાલુકાના હરીપર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા પટેલ ખેડૂત બુઝુર્ગ કે જેઓ પોતાની વાડીએ રખોપુ કરવા ગયા હતા, જે દરમિયાન તેઓને એકાએક હાર્ટ એટેક આવી જતાં મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવ અંગે સુભાષભાઈ અમૃતભાઈએ પોલીસને જાણ કરતાં કાલાવડ ટાઉન પોલીસે મૃતદેહ નો કબ્જો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતથી કાર્યવાહી હાથ ધરી છે. હાર્ટએટેકના વધતા કિસ્સાથી લોકોમાં ચિંતા પ્રસરી છે.