પત્નીની હત્યા કરી લાશ દાટી દઈ પતિએ ખોટી સ્ટોરી ઊભી કરી
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખોખરી ગામે ગઈકાલે આદિવાસી યુવતીની હત્યા કરી દાટી દેવાયેલ લાશ મળ્યા બાદ પોલીસે પોસ્ટ મોર્ટમ રિપોર્ટના આધારે ખૂનનો ગુનો નોંધી આરોપી પતિની ધરપકડ કરી પુછપરછ કરતાં ચોંકાવનારી હકીકત બહાર આવી હતી. ગૃહ કંકાશમાં સપ્તાહ પહેલા જ પત્નીની માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી ઠંડા કલેજે હત્યા કર્યા બાદ લાશ દાટી દઈ પત્ની ભાગી ગયાની ખોટી સ્ટોરી ઉભી કરી હોવાનું બહાર આવ્યું છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, પડધરીનાં ખોખરી ગામે રહેતા કનકસિંહ બહાદુરસિંહ જાડેજાની વાડી પાસે પાણીના ખાડામાંથી ગઈકાલે દાટી દેવાયેલ કેશરબેન સંતોષભાઈ બુડળીયા (ઉ.35)ની લાશ મળી આવતાં પોલીસે લાશનો કબજો મેળવી ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ કરાવતાં આદિવાસી યુવતીની માથામાં પથ્થરના ઘા ઝીંકી હત્યા કર્યા બાદ લાશ દાટી દીધી હોવાનું બહાર આવ્યું હતું.
આ બનાવ અંગે પોલીસે જામનગરના ખેંગારકા ગામે ખેત મજુરી કરતાં આદિવાસી યુવતીના ભાઈ દિલીપભાઈ હરિરામ બામણીયા (ઉ.28)ની ફરિયાદ પરથી હત્યા કરી પુરાવાનો નાશ કરવા અંગેનો બનેવી સંતોષ રાધેશ્યામ બુડળીયા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
પોલીસની આગવી ઢબેની પુછપરછમાં ગત તા.3-12-23ના રાત્રિનાં પતિ પત્ની વચ્ચે ગૃહ કંકાશ બાબતે ઝઘડો થતાં ઉશ્કેરાયેલા આરોપી પતિએ પત્નીના માથામાં પથ્થરના ઘા ઝીંકી હત્યા કર્યાબાદ લાશને વાડી નજીક પાણીના ખાડામાં દાટી દીધી હતી.
પત્નીની ઠંડા કલેજે હત્યા કર્યા બાદ પતિએ તેની સાસુ અને સાળાને ‘તારી બહેન કોઈ સાથે ભાગી ગયેલ છે’ તેવી ખોટી સ્ટોરી ઉભી કરી હતી. ત્યારબાદ તા.11-12-2023નાં બનેવી સંતોષે ફોન કરી ‘તારી બહેનને મારી નાખી કયાંય દાટી દીધેલ છે અને તેના છોકરાને લઈને વતનમાં ચાલ્યો ગયો છે’ તેવી વાત કરી હતી ત્યારબાદ આ બનાવ અંગે વાડીના માલીકને જાણ કરતાં ગઈકાલે પોલીસમાં જાણ કરવામાં આવી હતી. પોલીસે હત્યા અને પુરાવાનો નાશ કરવા અંગેનો ગુનો નોંધી આરોપી સંતોષની ધરપકડ કરી તેની પાસે સમગ્ર ઘટના અંગેનું રિક્ધટ્રકશન કરાવવામાં આવ્યું હતું. આ બનાવની વિશેષ તપાસ પડધરીનાં પીએસઆઈ ગજેન્દ્રસિંહ ઝાલા સહિતનો સ્ટાફ ચલાવી રહ્યો છે.