રાજકોટમાં ભત્રીજાના ઘરે બેસવા ગયેલા કાકાનું હૃદય બેસી ગયું
રાજકોટમાં હાર્ટ એટેકે ઉપાડો લીધો હોય તેમ હદયરોગના હુમલાથી અનેક માનવ જિંદગીના શ્વાસ થંભી રહ્યા છે ત્યારે વધુ એક બનાવમાં કોઠારીયા મેઈન રોડ ઉપર ગણેશનગરમાં રહેતા અને ગુજરાત ગેસમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા આધેડ સોમનાથ સોસાયટીમાં ભત્રીજાના ઘરે બેસવા ગયા હતા. ત્યારે ભત્રીજા સાથે વાતો કરતા કાકાને અચાનક હદય રોગનો હુમલો આવતા મોત નિપજ્યું હતું આધેડના મોતથી પરિવારમાં કરૂણ કલ્પાંત સર્જાયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા મેઈન રોડ ઉપર આવેલા ગણેશનગરમાં રહેતા ચંદુભાઈ સવાભાઈ ડાંગર નામના 52 વર્ષના આધેડ કોઠારીયા મેઈન રોડ ઉપર રણુજા મંદિર પાછળ આવેલી સોમનાથ સોસાયટીમાં રહેતા ભત્રીજા મિતેષ રણધીરભાઈ ડાંગરના ઘરે બેસવા ગયા હતા. જ્યાં કાકા ભત્રીજા વચ્ચે વાતચીત ચાલતી હતી. તે દરમિયાન ચંદુભાઈ ડાંગરને અચાનક હૃદય રોગનો હુમલો આવતા છાતીનો દુખાવો ઉપડ્યો હતો. અને ચંદુભાઈ ડાંગર બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા આધેડને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ચંદુભાઈ ડાંગરે હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી હતી. આ અંગે આજીડેમ પોલીસને જાણ થતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી આધેડના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક ચંદુભાઈ ડાંગર ત્રણ ભાઈ ત્રણ બહેનમાં વચ્ચેટ હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. મૃતક ચંદુભાઈ ડાંગર ગુજરાત ગેસમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતા હતા. અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા ચંદુભાઈ ડાંગર તેના મિતેષ ડાંગરના ઘરે સાંજના સમયે બેસવા માટે ગયા હતા ત્યારે અચાનક આવેલો હદય રોગનો હુમલો જીવલેણ નિવડ્યો હોવાનું જાણવા મળ્યું છે આ બનાવા અંગે આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.