કણકોટ પાસે ફાર્મમાં દીપડાએ કૂતરાને ફાડી ખાધો, ખેડૂતોની ઊંઘ હરામ
રાજકોટ શહેરની ભાગોળે છેલ્લા પાંચ દિવસથી આંટાફેરા કરતો દીપડો જંગલખાતાના પાંજરામાં નહીં આવતા અને શહેરની પશ્ચિમે આવેલા મુંજકા, રૈયા, વેજાગામ, કણકોટ, રામનગર, કૃષ્ણનગર સહીતના ગ્રામ્ય વિસ્તારોમાં આંટાફેરા કરતો નજરે પડતા લોકોમાં ફફડાટની લાગણી જન્મી છે. ખાસ કરીને ફાર્મ હાઉસો અને સીમ વિસ્તારમાં રહેતા લોકોમાં દીપડાનો ભય બેસી ગયો છે અને રાત્રે લોકો ઘર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.
ગત શનિવારે મુંજકા ગામમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક દેખાયેલો દિપડો હાલ કણકોટ- રામનગર વિસ્તારમાં ફરી રહ્યો હોવાનું નજરે જોનાર લોકોમાંથી જાણવા મળે છે. સોમવારે કણકોટ ગામના સ્મશાનમાં દીપડો દેખાયા બાદ ગઇકાલે સાંજે કણકોટના પાદરમાં જ આવેલા કાનાભાઇ પટેલના રાધે ફાર્મમાં પાલતુ કુતરાનું મારણ કરતા વાડી વિસ્તારમાં રહેતા લોકો ફફડી ઉઠયા છે.
રાધે ફાર્મવાળા કાનાભાઇ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસથી દીપડો અમારા ફાર્મ આસપાસ જ આંટાફેરા કરે છે. કણકોટના સ્મશાનથી મારા ફાર્મ વચ્ચે આવ-જા કરતો હોવાથી માલ-ઢોરવાળા ખેડુતો- માલધારીઓને ઢોરનું રખોપુ કરવા માટે રાત ઉજાગરા કરવા પડી રહ્યા છે. આ ઉપરાંત વાડી વિસ્તારમાં રહેતા મજુરો અને બાળકોને દીપડો નિશાન બનાવે તેની ચિંતા વધુ છે. આથી મજુરોને ખુલ્લામાં નહીં રહેવા અને તેમને અપાયેલ ઓરડી કે મકાનમાં જ સુવા- બેસવા વાડી માલિકોએ સુચના આપી છે. પરંતુ આ વિસ્તારમાં ન્યારી ડેમના કારણે ખેતરોમાં વૃક્ષો વધુ છે અને હાલ છ-છ ફુટ ઉંચી તુવેર ઉભી હોય દીપડો ખેતર કે ફાર્મમાં કામ કરતા મજુરો કે તેના બાળકો ઉપર હુમલો કરે તેવો ભય સતત રહે છે.