ઇન્દિરા સર્કલ પાસે રેસ્ટોરન્ટનો કેશિયર રૂા.1.94 લાખની રોકડ લઇ રફુચક્કર
ઈન્દિરા સર્કલ પાસે ચીલીઝા પીઝા નામની રેસ્ટોરન્ટ ધરાવતાં નંદન નલીનભાઈ પોબારૂ (ઉ.વ.35, રહે. ગાર્ડન સિટી, સાધુ વાસવાણી રોડ)એ તેની રેસ્ટોરેન્ટનો કેશિયર ક્રિષ્ના પરેશભાઈ ઉનડકટ (રહે. દ્વારકેશ પાર્ક, શેરી નં.4, ધરમનગર પાછળ) રૂા.1.94 લાખ ઓળવી ગયાની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
નંદનભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ પત્ની ઈશિતા સાથે રેસ્ટોરન્ટ ચલાવે છે. અંદાજે બે મહિના પહેલાં મિત્ર દિપ બાવીશીની ભલામણથી કેશિયર તરીકે ક્રિષ્નાને રાખ્યો હતો. ગયા મહિને તેના લગ્નની વર્ષગાંઠ હતી. ઉપરાંત પત્ની અને પુત્રીનો જન્મદિવસ પણ હતો. જેથી ગોવા ફરવા જવાનું નકકી કરી કેશિયર ક્રિષ્નાને ફલાઈટની ટિકિટનું બુકિંગ કરાવવા માટે મિત્રને આપવા એક લાખ રોકડા આપ્યા હતા. એટલું જ નહીં મશીન અને ફ્રીઝનું કમ્પ્રેશર સરખું કરાવવા માટે બીજી રકમ પણ આપી હતી. જયારે ક્રિષ્નાએ રૂા.9150નો ઉપાડ લીધો હતો. નોકરી દરમિયાન તેણે હિસાબમાં ગોટાળા કરી રૂા.29,200 ચાંઉ કરી લીધા હતા. કાઉન્ટરમાંથી રૂા.9 હજાર પણ લઈ લીધા હતા. આ રીતે તેના કુલ રૂા.1.94 લાખ મેળવી ઓળવી ગયો હતો. જે અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં અરજી કરી હતી. જેના આધારે પોલીસે ગુનો દાખલ કર્યો હતો. આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે.