સાસુના વાંઝિયા મેણાંથી ત્રસ્ત કુળવધૂનો ફાંસો ખાઇ આપઘાત
રાજકોટમાં આવેલા ગંજીવાડા વિસ્તારમાં રહેતી પરિણીતાએ સાસુના વાંઝીયા મેણાથી કંટાળી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો પરિણીતાના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં આવેલા ગંજીવાડા વિસ્તારમાં રહેતી પુષ્પાબેન યશભાઈ પરમાર નામની 30 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો આ ઘટના અંગે જાણ થતા થોરાળા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી પરિણીતાના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.
આ અંગે પ્રાથમિક પૂછપરછમાં મૃતક પુષ્પાબેન પરમારના માવતર પક્ષે આક્ષેપ કર્યો હતો કે પુષ્પાબેનના ત્રણ વર્ષ પહેલા લગ્ન થયા હતા અને તેણીને સંતાન નથી પુષ્પાબેનના સાસુ ગીતાબેન સંતાન પ્રાપ્તિ નહીં થતા ઝઘડા કરી કરિયાવર બાબતે મેણા ટોણા મારી ત્રાસ ગુજારતા હોવાની પુષ્પાબેને તેની માતા કંકુબેનને જાણ કરી હતી સહિતના આક્ષેપ કરવામાં આવ્યા છે. આક્ષેપના પગલે થોરાળા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.