શેઠ હાઈસ્કૂલ પાસે વોંકળા પર થયેલ બાંધકામો તોડી પડાયા
સર્વેશ્ર્વર દુર્ઘટના અને તાજેતરમાં બનેલ લોટરી બજાર દુર્ઘટના બાદ મહાનગરપાલિકાએ તમામ વોકળાઓનો સર્વે શરૂ કર્યો છે.વોકળા ઉપર બંધાયેલા કાયદેસર બાંધકામો અને ગેરકાયદેસર બાંધકામોનું લીસ્ટ તૈયાર કરી કાયદેસર બાંધકામોનો સ્ટ્રેબીલીટી રિપોર્ટ ચેક કરવામાં આવી રહ્યો છે. ત્યારે દબાણરૂપ થયેલા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત આજરોજ સેન્ટ્રલઝોનમાં શેઠ હાઈસ્કૂલની પાછળ 80 ફૂટના રોડ પર નટેશ્ર્વર મહાદેવના મંદિરના પાછળના ભાગેથી નિકળતા વોકળા ઉપર થયેલા ગેરકાયદેસર દબાણો ઉપર બુલ્ડોઝર ફેરવી ઓરડી, કમ્પાઉન્ડ હોલ, બે પ્લીન્થ અને અનેક કાચા દબાણો દૂર કરવામાં આવ્યા હતાં.
કમિશ્નર આનંદ પટેલની સૂચના અનુસાર તથા ટાઉન પ્લાનીંગ ઑફિસર એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ રોજ શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તાર પૈકી વોર્ડ નં. 14 માં શેઠ હાઈસ્કુલ પાછળ, 80 ફૂટ રોડ નજીક, નટેશ્વર મહાદેવ મંદિરના પાછળના ભાગે વોંકળા પૈકીની વોટર વેની જગ્યા પર થયેલ એક ઓરડી, કમ્પાઉન્ડ વોલ, બે પ્લીન્થ તથા કાચું દબાણ દુર કરવા ડીમોલીશન હાથ ધરવામાં આવેલ. આ કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખાના સેન્ટ્રલ ઝોનનો તમામ સ્ટાફ, ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ, જગ્યા રોકાણ શાખા તથા રોશની શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ તથા આ કામગીરી દરમ્યાન સ્થાનિકે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ પણ સ્થળ પર હાજર રહ્યા હતાં.
11 વોંકળા ઉપરના દબાણો દૂર કરાશે
મનપાએ હવે વોકળા ઝુંબેશ શરૂ કરી છે. જેમાં વોકળા ઉપર મંજુરી લઈને બનાવવામાં આવેલ બાંધકામો તેમજ વર્ષોથી વોકળા ઉપર થઈ ગયેલા કાચા-પાકા ગેરકાયદેસર બાંધકામોનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આગામી દિવસોમાં 11 વોકળા ઉપર થયેલા ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલેશન હાથ ધરવામાં આવસે તેમજ વર્ષો પહેલા બની ગયેલા પાકા બાંધકામોનો સ્ટ્રેબીલીટી રિપોર્ટ પણ ફરજિયાત લેવામાં આવશે. તેમ ટાઉન પ્લાનીંગ વિભાગમાંથી જાણવા મળેલ છે.