નશાની હાલતમાં રેલવે ટ્રેક પર આવી ગયા, પણ ટ્રેન આવી જતાં ભાગ્યા ને પુલ નીચે ખાબકયા
જેતપુરમાં ભાદરના પૂલ નીચે ખાબકેલા બે પરપ્રાંતિય યુવાનોમાંથી એકનું ઘટના સ્થળે જ મોત થયું હતુ. જ્યારે બીજાને સારવાર માટે અહિંની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પોલીસની તપાસમાં બન્ને પરપ્રાંતિયો નશાની હાલતમાં રેલવે ટ્રેક પર ચડી ગયા હતાં અને ટ્રેન આવી જતાં ભાગવા જતાં બનાવ બન્યો હતો. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ જેતપુરના ભાદરના પુલ પરથી નીચે પટકાયેલા પરપ્રાંતિય યુવાનો બાબતે પોલીસ તપાસમાં એવું બહાર આવ્યું હતું કે જેતપુરનાં સાડી કારખાનામાં મજુરી કામ કરતાં થાનરામ મનારામ ભીલ (ઉ.25) અને દેવાભાઈ રામભાઈ ભીલ (ઉ.35) એમ બન્ને સવારમાં જ કોઈ કેફિપીણાના સેવનથી નશામાં ચકચુર બની ગયા હતાં.
આવા સમયે બન્ને ભાનુ ભૂલીને ભાદરનદીના પૂલ ઉપરના રેલવે ટ્રેક પર ચાલવા લાગ્યા હતાં તે સમયે જ નીકળેલી ટ્રેનનો પાવો (વ્હીસલ) સંભળાતા બન્ને ભયભીત થઈને ભાગવા જતાં બન્ને ભાદરનાં પુલ નીચે ખાબકયા હતાં.
જેમાં થાનરામ ચનારામ ભીલનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે દેવાભાઈને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ગંભીર ઈજાની સારવાર અપાઈ રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું.