ગોંડલના ભરૂડી ટોલનાકા પરથી કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવોને બચાવ્યા
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાંથી અબોલ જીવોને કતલખાને ધકેલવાનું વ્યવસ્થીત નેટવર્ક ચાલી રહ્યું છે ત્યારે શનિવારે રાત્રે ગૌરક્ષકોને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસને સાથે રાખી ભરૂડી ટોલનાકે વોચ ગોઠવી તપાસ કરતાં કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવો સાથેના બે ટ્રક મળી આવતાં ડ્રાઈવરની ધરપકડ કરી 8.74 લાખની કિંમતના અબોલ જીવોને પાંજરાપોળમાં મોકલી આપ્યા હતાં. જ્યારે અન્ય બે શખ્સોની શોધખોળ હાથ ધરી છે. આ અંગેની જાણવા મળતી વિગત મુજબ, ગોંડલના ભરૂડી ટોલનાકા પાસેથી કતલખાને લઈ જવાતા એક ટ્રકમાંથી 8 ભેંસ અને 7 ભેંસના બચ્ચા મળી આવ્યા હતાં. જ્યારે બીજી ટ્રકમાંથી 9 ભેંસ અને 5 બચ્ચા મળી કુલ 29 અબોલ જીવો મળી આવતાં 8.74 લાખના અબોલ જીવોને મુકત કરાવી પાંજરાપોળમાં મોકલી આપ્યા હતાં.
ગૌરક્ષકોએ કતલખાને લઈ જવાતા અબોલ જીવો સાથેના ડ્રાઈવર જગદીશભાઈ વિઠ્ઠલભાઈ ભીંડી (રહે.માણાવદર) અને લાખાભાઈ ભાયાભાઈ કોડીયાતર (રહે.માણાવદર)વાળાની ધરપકડ કરી બે ટ્રક અને અબોલ જીવો મળી કુલ 18.74 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસની પુછપરછમાં મહેસાણાના મુસ્તાકમીયા હાજીહુશેનમીયા સૈયદે માણાવદર પંથકમાંથી અબોલ જીવો ભરી મહેસાણા લઈ જતો હતો અને ભરૂડી ટોલનાકા પાસે પોલીસને જોઈ આરોપી નાસી છુટયો હતો. જ્યારે બન્ને ટ્રકમાં 29 જેટલા અબોલ જીવોને ઠાસી ઠાસીને દોરડા વડે બાંધી ઘાસચારા કે પાણી વગર રાખવામા આવ્યા હતાં. આ બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસે જીવદયા પ્રેમી ભાવિનભાઈ ઘનશ્યામભાઈ ઘીયાડ (ઉ.34)ની ફરિયાદ પરથી ત્રણેય શખ્સો સામે પશુ પ્રત્યે ઘાતકીપણુ રાખવા અંગેનો ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.