રાજકોટના યુવા હોટેલિયર ગૌતમ વાળાનું હૃદયરોગના હુમલાથી મોત
કોરોના મહામારી બાદ યુવાનોમાં હૃદય રોગના હુમલા જીવલેણ નિવડી રહ્યાં છે ત્યારે રાજકોટમાં વધુ એક હોટેલિયર ગૌતમભાઈ વાળાનું હૃદયરોગના હુમલાથી મોત થતાં પરિવારમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. પોલીસ પરિવારમાંથી આવતાં ગૌતમભાઈ વાળા ભાજપના સક્રિય કાર્યકર સાથે ઉદ્યોગમાં પણ સારી એવી નામના મેળવી હતી.
રાજકોટનાં રેસકોર્સ રીંગ રોડ પર આકાશવાણી કેન્દ્રની સામે આવેલ આદીનાથ ટાવરમાં રહેતા ગૌતમભાઈ જૈતાભાઈ વાળા (ઉ.48)ને ગઈકાલે રાત્રે નિંદરમાં જ હૃદયરોગનો હુમલો આવી જતાં સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. પરંતુ તેમનું સારવાર મળે તે પહેલા જ પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. કોટેચા ચોકમાં ઓનેસ્ટ હોટલ ધરાવતાં ગૌતમભાઈ વાળા એક બહેન અને ત્રણ ભાઈમાં સૌથી નાના હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ પરિવારમાંથી આવતાં ગૌતમભાઈ વાળાના પિતા જૈતાભાઈ વાળાએ પોલીસ પરિવારમાં સારી એવી નામના મેળવી હતી. જ્યારે ગૈાતમભાઈના બનેવી એમ.ડી.માંજરીયા નિવૃત્ત મામલતદાર હોવાનું અને રાજકીય ક્ષેત્રે સારી એવી નામના મેળવી છે. બનેવીની સાથે જ રહેતા ગૌતમભાઈ વાળાના મોટાભાઈ ભરતભાઈ વાળા ભુપેન્દ્ર રોડ પર ઉપાસના હોટલ ધરાવે છે. જ્યારે બીજા નંબરના દશરથભાઈ વાળા કસ્તુરબા રોડ પર ઉપાસના ટ્રાવેલ્સ ધરાવતાં હોવાનું અને ટ્રાવેલ્સ એસોસીએશનના પ્રમુખ હોવાનું જાણવા મળ્યું છે.
જાણીતા હોટેલિયર અને ભાજપમાં સક્રિય કાર્યકર ગૌતમભાઈ વાળા પોતાની પાછળ પત્ની અને બે બાળકોને વિલાપ કરતાં છોડી ગયા છે. આજે સવારે આદીનાથ ટાવર ખાતેથી તેમની અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં બહોળી સંખ્યામાં પરિવારજનો, સગા-સંબંધીઓ અને મિત્ર વર્તુળો જોડાયા હતાં.
મુળ બાબરાના વતની ગૌતમભાઈ વાળાનો જન્મ રાજકોટમાં થયો હતો અને વર્ષોથી રાજકોટમાં જ રહેતાં હતાં. ગઈકાલે બપોરે સાડા ચાર વાગ્યે તેઓ ઘરે આવી જમીને સુઈ ગયા હતાં અને રાત્રીના સાડા આઠ વાગ્યે પત્ની જગાડવા ગયા ત્યારે ગૌતમભાઈ જાગ્યા ન હતાં. તેઓને બેભાન હાલતમાં જ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા. પરંતુ નિંદરમાં જ આવેલા હૃદયરોગનો હુમલો ઘાતક નિવડયો હતો.