ભાણેજ, ભત્રીજા અને જમાઇના ત્રાસથી વૃદ્ધાએ માગ્યું ‘ ઇચ્છા મૃત્યુ’ !
શહેરના કોઠારીયા કોલોનીમાં રહેતા વૃદ્ધાએ કલેકટરને લેખિત રજુઆત કરી, ભત્રીજા, ભાણેજ અને જમાઇના મિલકત પચાવી પાડવા અંગે અસહય અપાતા ત્રાસને સહન કરવાનું દુષ્કર ગણાવીને ઇચ્છા મૃત્યુની મંજુરી આપવાની માંગણી કરી છે.
ખાંટ સરીતાબેન અશોકભાઇ મકવાણાએ કલેકટરને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, પોતાના સ્વર્ગીય પતિ અશોકભાઇ મુળજીભાઇ મકવાણાની સ્વયાર્જિત મૂડીમાંથી ઘંટેશ્ર્વરમાં રેવન્યુ સર્વે નં.82 પૈકીના રહેણાંક હેતુ માટે બની ખેડવાણ અને ઇમારત બાંધવાની મંજુરીવાળા શ્રી સમધર પાર્ક તરીકે ઓળખાતા જમીનનાં પ્લોટ નં.71, 72, 141, 142 તથા પ્લોટ નં.121 એમ તમામ મિલકત ખરીદી છે.
ઉપરોકત તમામ મિલકત દસ્તાવેજો તેમજ મરણમૂડી સમાન ફિક્સ ડિપોઝીટની રસીદ પતાની પાસે હોય, પચાવી પાડવા ભત્રીજો ચેતન દિનેશ મકવાણા (રહે. લક્ષ્મીવાડી), જમાઇ મયુર પ્રવિણ ડાભી (રહે.લક્ષ્મીવાડી) તેમજ ભાણેજ મયુર ભુપત રાઠોડ (રહે.કોટેચાલ ચોક) એમ ત્રણેય સતત, શારિરીક, માનસિક ત્રાસ આપી ધાક-ધમકી આપતા હોવાનું સરિતાબેન મકવાણાએ જણાવ્યુ છે.
આટેલથી ત્રાસ અટકતો ન હયો તેમ ઉપરોક્ત ત્રણેય મિલકતનાં અસ્સલ દસ્તાવેજો ધાક ધમકી આપી પડાવી ગયા છે. જે અવારનવારની માંગણી પછી પણ પરત આપતા નથી.
એટલું જ નહીં કણકોટ ગામનાં પ્લોટ અને બેંકની એફ.ડી., સસરાનું સહિયારૂ મકાનમાં ભાગ નહીં આપવા બાબતે ચેતન દિનેશ મકવાણા સતત ત્રાસ આપતો હોય, હવે જીવવું મુશ્કેલ થઇ ગયું છે.
9-9 વર્ષથી ફરિયાદો છતાં કોઇ સરકારી તંત્રની મદદ નહીં : સરિતાબેન
70 વર્ષની વયે પહોંચેલા સરિતાબેન અશોકભાઇ મકવાણાએ નિ:સાસો નાંખતા જણાવ્યું છે કે ભત્રીજો, ભાણેજ અને જમાઇ દ્વારા મિલકત પચાવી પાડવા થતાં હિન પ્રયાસો અને ધાક-ધમકીઓ બાબતે છેલ્લા 9-9 વર્ષથી સરકારી તંત્રોને રજુઆત કરવામાં આવે છે પણ તેઓની ફરિયાદ બહેરા તંત્રના કાને અથડાઇને પાછી ફરતી હોવાથી હવે ત્રાસદાયક જીવનમાંથી મુક્ત થવા મૃત્યુ સિવાય કોઇ રસ્તો બચ્યો નથી. મને ઇચ્છા મૃત્યુની રજા આપો, સાહેબ તેવી રજુઆત સરિતાબેન રાજકોટ જિલ્લા કલેકટર સમક્ષ કરી છે.