અલગ થવાના પ્રશ્ને નવદંપતીનો સજોડે એસિડ પી આપઘાતનો પ્રયાસ
જસદણમાં આવેલા વાજસુરપરા વિસ્તારમાં રહેતા નવદંપતીએ અલગ થવાના પ્રશ્ને સજોડે એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો નવદંપતીને ઝેરી અસર થતા બેશુદ્ધ હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જસદણમાં આવેલા વાજસુરપરા વિસ્તારમાં રહેતા કુલદીપ મુકેશભાઈ પંચાળ (ઉ.વ.20) અને તેની પત્ની અસ્મિતાબેન કુલદીપભાઈ પંચાળ ( ઉ.વ.19) પોતાના ઘરે હતા ત્યારે મધરાત્રિના બેએક વાગ્યાના અરસામાં બંનેએ સજોડે એસિડ પી લીધું હતું. દંપતીને ઝેરી અસર થતા બેશુદ્ધ હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે જસદણ પોલીસને જાણ કરતા જસદણ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો પોલીસે સજોડે એસિડ પી લેનાર દંપતિનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે પ્રાથમિક પૂછપરછમાં કુલદીપ પંચાળ અને અસ્મિતાબેન પંચાળના ત્રણ માસ પૂર્વે જ લગ્ન થયા હતા અને નવદંપતીએ અલગ થવા પ્રશ્ને સજોડે એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે જસદણ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.