ઉપલેટાના નવાપરા ગામે પ્રેમ પ્રકરણમાં સમાધાન માટે બોલાવી યુવાનને માર માર્યો
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના નવાપરા ગામે ગઈકાલે બપોરે પરિણીત યુવાનને પ્રેમ પ્રકરણમાં સમાધાન માટે બોલાવી ‘તું શું કામ અમારા જમાઈને જામજોધપુર ફોન કરશ’ તેમ કહી પ્રેમિકાના કાકા સહિત ત્રણ શખ્સોએ લાકડી વડે માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, ઉપલેટાના નવાપરા ગામે રહેતા અને ડ્રાઈવીંગ કરતાં વિપુલ મનજીભાઈ બારીયા (ઉ.30) નામના યુવાને ભાયાવદર પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે નવાપરા ગામના જ હમીરભાઈ રામશીભાઈ નંદાણીયા, રવિ રાજશીભાઈ નંદાણી, હિરેન રાજશીભાઈ નંદાણીયાના નામ આપ્યા છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી યુવાનને આરોપી હમીરભાઈ નંદાણીયાની ભત્રીજી સાથે પ્રેમ સંબંધ હોય જેની જાણ આરોપીઓને થઈ જતાં ગઈકાલે સમાધાન માટે બોલાવ્યો હતો. નવાપરા ગામે જ દુકાને સમાધાન માટે ભેગા થયા ત્યારે ફરિયાદી યુવાનના પિતા મનજીભાઈ અને ભાઈ રાહુલની નજર સામે જ ત્રણેય આરોપીઓએ ‘તું શું કામ અમારા જમાઈને જામજોધપુર ફોન કરશ’ તેમ કહી બેફામ ગાળો દઈ લાકડી વડે માર માર્યો હતો.
આ બનાવ અંગે ભાયાવદર પોલીસે યુવાનની ફરિયાદ પરથી ગુનો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા છે. આ બનાવની તપાસ એએસઆઈ પી.પી.જાડેજા ચલાવી રહ્યાં છે.