પશુ રજિસ્ટ્રેશન માટે છેલ્લા બે દિવસ, મનપામાં પશુપાલકોનો ભારે ધસારો
પશુ નિયંત્રણધારા હેઠળ રાજ્યસરકાર દ્વારા નવું નોટીફીકેશન જારી કરી 31 ડિસેમ્બર સુધીમાં શહેરી વિસ્તારમાં રાખવામાં આવતા તમામ પશુઓ તેમજ જગ્યાનું રજીસ્ટ્રેશન કરાવી લેવાની સુચના અપાઈ છે. અને તા. 1 જાન્યુઆરીથી દરેક મહાનગરપાલિકાને પશુ નિયંત્રણ કાયદા હેઠળ કડક અમલવારી કરવાના નિર્દેશ જારી કર્યા છે. જેના કારણે રાજકોટ શહેરમાં પશુઓ સાથે વસવાટ કરતા અને રજીસ્ટ્રેશન ન થયું હોય તેવા પશુપાલકોએ તા. 31ને છેલ્લા બે દિવસ બાકી હોય કોર્પોરેશનની સેન્ટ્રલઝોન કચેરી ખાતે ભારે ધસારો બોલાવતા અફરાતફરી સર્જાઈ હતી. તા. 31ના રોજ રવિવાર આવતો હોય હવે ફક્ત કાલનો એક જ દિવસ બાકી હોયકાલે મોડી સાંજ સુધી ધસારો રહેશે તેમ ઢોર પકડ પાર્ટીના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું.
મહાનગરપાલિકાના ઢોરપકડ પાર્ટી વિભાગમાંથી જાણવા મળેલ વિગત મુજબ પશુ નિયંત્રણ કાયદાની અમલવારી તા. 1 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવનાર છે. નવા નોટીફીકેશન મુજબ દરેક પશુપાલકોએ પોતાને ત્યાં રાખવામાં આવેલ પસુનું રજીસ્ટ્રેશન કરાવી ટેગ પહેરાવી ફરજિયાત છે તેવી જ રીતે જે જગ્યામાં પસુ રાખેલા હોય તે જગ્યા નિયમ મુજબ હોવી તથા આ જગ્યાનું પણ રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ તેવી જ રીતે શહેરમાં રખડતા પશુઓને પકડવાની કામગીરી 24 કલાક ચાલુ રાખવામાં આવે અને પકડાયેલ પશુને ભારે દંડ લઈને છોડવામાં આવે તથા જો પશુપાલક નિયત સમયમાં પોતાના પશુને છોડાવવા ન આવે તો આ પ્રકારના પશુઓની અપસેટ પ્રાઈઝ નક્કી કરી પશુઓની જાહેર હરરાજી કરવામાં આવે તે સહિતના નિયમોની કડક અમલવારી કરવાના આદે અપાયા છે. જેના કારણે મનપાની ઢોર પકડ પાર્ટી દ્વારા 1 જાન્યુઆરીથી કડક ઝુંબેશ શરૂ કરવામાં આવશે જેના કારણે હવે બાકી રહી ગયેલા પશુપાલકો પોતાના પશુઓના રજીસ્ટ્રેશન ટેગ અને જગ્યાની નોંધણી માટે આજે સવારે 11 વાગ્યાથી સેન્ટ્રલજોન કચેરી ખાતે લાઈનો લગાવી હતી.
શહેરમાં રખડતા પસુઓ નિયંત્રણ કાયદા હેઠળ 1 જાન્યુઆરીથી મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં ાવનાર છે. એક સપ્તાહ પહેલા નવા નોટીફીકેશન મુજબની જાહેરાત મનપાએ કરેલ અને પશુપાલકોને રજીસ્ટ્રેશન કરાવી લેવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો. તેવી જ રીતે શહેરમાં દિવસ અને રાત અલગ અલગ ટીમો દ્વારા રખડતા પશુઓ પકડવાની કામગીરી હાથ ધરાઈ હતી. રખડતા પશુઓ પકડાય અને આ પશુનું રજીસ્ટ્રેસન ન થયું હોય અથવા ટેગ પહેરાવેલ ન હોય ત્યારે આ પશુને છોડવામાં આવતા નથી. આથી હવે પશુપાલકો રહી રહીને જાગ્યા હોય તેમ પોતાએ રાખેલા પશુઓ તેમજ વધારેલા પશુનું રજીસ્ટ્રેશન કરાવવા અને પશુઓ રાખવાની જગ્યાની નોંધણી સહિતની કાર્યવાહી માટે આજે કોર્પોરેશને મોટી સંખ્યામાં પશુપાલકો એકઠા થયા હતાં. જેના કારણે સેન્ટ્રલઝોન કચેરી ખાતે પશુપાલકોની સરળતા માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં વધુ સ્ટાફને બેસાડી કામગીરી શરૂ કરવામાં આવી હતી. છતાં આ કાર્યવાહી સાંજ સુધી ચાલુ રહેશે તેમ જાણવા મળેલ છે.
પશુઓની હરાજીનો તખ્તો તૈયાર
શહેરમાં રખડતા ઢોરને પકડી મહાનગરપાલિકાના ડબ્બે પુરવામાં આવે છે. ત્યાર બાદ નિયત સમયમાં પશુપાલક આ પશુને છોડાવવા ન આવે તો પશુઓની હરાજી કરવાનો નિર્ણય મહાનગરપાલિકાએ લીધો છે. આથી છોડાવવા ન આવ્યા હોય તેવા પશુપાલકોના પશુઓની હરાજી માટે મહાનગરપાલિકાએ કમિટિ તૈયાર કરી છે અને ટુંક સમયમાં તમામ પશુની વિગત સાથે રિપોર્ટ કમીટિમાં મુકવામાં આવશે. જેના આધારે પશુઓની અપસેટ પ્રાઈઝ નક્કી કરશે અને ત્યાર બાદ હરાજીની તારીખ જાહેર કરી પશુઓની જાહેર હરાજી કરવામાં આવશે આ હરાજીમાં ફક્ત ખેડુત ખાતેદાર જ પસુની ખરીદી કરી શકશે તેમ ઢોરપકડ વિભાગમાંથી જાણવા મળેલ છે.