લક્ષ્મીનગરમાં સગપણની વાતમાં ડખો, ફુવા સહિત 11 શખ્સોનો ઘરમાં ઘૂસી પરિવાર ઉપર હુમલો, તોડફોડ
શહેરના લક્ષ્મીનગરમાં સગપણની વાતમાં ડખ્ખો થતા ફુવા સહિત 11 શખ્સોએ ઘરમાં ઘુસી પરિવાર ઉપર હુુમલો કરી તોડફોડ કરી હતી. આ અંગે પોલીસે રાયોટીંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ લક્ષ્મીનગર શેરી નં.8/5માં રહેતા નરેન્દ્રસિંહ ભાવસિંહજી ડાભી (ઉ.વ.47)એ માલવીયાનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના ફુવા વિક્રમસિંહ રવુભા સોલંકી, દિવ્યરાજસિંહ વિક્રમસિંહ, પ્રિયજીતસિંહ વિક્રમસિંહ, શેલેન્દ્રસિંહ અભેસિંહ સોલંકી, પ્રભાતસિંહ અમરસિંહ સોલંકી, વિશ્ર્વજીતસિંહ ધર્મેન્દ્રસિંહ સોલંકી, કરણજીતસિંહ જયરાજસિંહ સોલંકી, જયરાજસિંહ રવુભા સોલંકી, મહિયતસિંહ નખુભા સોલંકી, સત્યજીતસિંહ અનિરૂદ્ધસિંહ સોલંકી અને રઘુવિરસિંહ મહિપતસિંહ પરમારના નામ આપ્યા છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ તેના ભાઇ સંજયસિંહે તેના સાઢુભાઇના દીકરા દિવ્યરાજસિંહના સગપણની વાત આરોપી ફુવા વિક્રમસિંહ સોલંકીના કૌટુબીક ભાઇ પ્રભાતસિંહ સોલંકીની દિકરી સાથે કરી હતી જેથી આરોપીઓએ ઘરે આવી ‘તમારાથી અમારા દિકરીબાની સગપણ વાત કરાઇ’ તેમ કહી ઘરના સભ્યો ઉપર તુટી પડયા હતા અને ઢીકાપાટીનો માર માર્યો હતો.
ઘરમાં પડેલી ટીપોઇ તોડી નાંખી તોડફોડ કરી હતી. આ અંગે પોલીસે રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.