રાજકોટમાં નિવૃત્ત જજના કારખાનેદાર પુત્રએ કારખાનામાં જ કર્યો આપઘાત
રાજકોટમાં નિવૃત્ત જજના કારખાનેદાર પુત્રએ કોઈ અગમ્ય કારણસર પોતાના કારખાનાની ઓફિસમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પરિવારમાં અરેરાટી સાથે કરૂૂણ કલ્પાંત સર્જાયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં યુનિવર્સિટી રોડ ઉપર આવેલા કુમકુમ પાર્કમાં રહેતા દિવ્યેશભાઈ રમેશચંદ્રભાઇ રાજ્યગુરુ નામનો 37 વર્ષનો યુવાન ગઈકાલે ખાંભા ગામ આવેલ અવધ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં પોતાના દેવરાજ પ્લાસ્ટિક નામના કારખાનામાં હતો ત્યારે પોતાની ઓફિસમાં જ પંખામાં દોરી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો આ ઘટના અંગે જાણ થતા લોધિકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને લોધિકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક દિવ્યેશભાઈ રાજ્યગુરુના પિતા રમેશચંદ્રભાઇ રાજ્યગુરુ નિવૃત્ત જજ છે. અને દિવ્યેશભાઈ રાજ્યગુરુ એકની એક બહેનનો એકનો એક ભાઈ હતો. અને તેને સંતાનમાં એક પુત્ર છે. દિવ્યેશભાઈ રાજ્યગુરુ અવધ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં કારખાનું ધરાવે છે ગઈકાલે સવારે કારખાને ગયા બાદ ફોન નહીં ઉપાડતા તેમના બનેવી ઘટના સ્થળે જોવા જતા દિવ્યેશભાઈ રાજ્યગુરુનો મૃતદેહ લટકતો જોવા મળ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે લોધીકા પોલીસે નોંધ કરી આપઘાત પાછળનું કારણ જાણવા તપાસનો દર લંબાવ્યો છે.