મવડીમાં વૃદ્ધાએ માનસિક બીમારીથી કંટાળી જાત જલાવી જીવન ટૂંકાવ્યું
શહેરમા મવડી વિસ્તારમાં રહેતા વૃદ્ધાએ માનસિક બીમારીથી કંટાળી પોતાની જાતે કેરોસીન છાંટી કાંડી ચાંપી લીધી હતી. ગંભીર રીતે દાઝી ગયેલા વૃધ્ધાનું ઘટના સ્થળે જ મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મવડી વિસ્તારમાં રામધામ આશ્રમ પાસે રહેતા જયાબેન કેશુભાઈ મેઘાણી નામના 60 વર્ષના વૃદ્ધા પોતાના ઘરે હતા. ત્યારે માનસિક બીમારીથી કંટાળી વહેલી સવારે સાડા ચારેક વાગ્યાના અરસામાં ઘરના ફળિયામાં પોતાની જાતે કેરોસીન છાંટી દિવાસળી ચાંપી લીધી હતી ગંભીર રીતે દાઝી ગયેલા વૃદ્ધાનુ ઘટના સ્થળે મોત નિપજયુ હતું. વૃદ્ધાના મોતથી પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પૂછપરછમાં જયાબેન મેઘાણીને સંતાનમાં બે પુત્ર અને પુત્રી છે જયાબેન મેઘાણીએ માનસિક બીમારીથી કંટાળી આત્મઘાતી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં મુંજકા ગામે રહેતા વિજયભાઈ પ્રભુદાસભાઈ વ્યાસ નામના 51 વર્ષના આધેડ રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. આધેડને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.