જૂની અદાવતમાં સામસામે છરીઓ ઊડી, બે ઘવાયા
શહેરમાં મારામારીના બનાવો સામાન્ય બની ગયા હોય તેમ છેલ્લા ઘણા સમયથી સોશ્યલ મીડિયામાં જાહેરમાં થતી મારામારીના વિડિયો વાયરલ થઈ રહ્યાં છે ત્યારે આજે કોઠારીયા નજીક આવેલા નુરાનીપરામાં જુની અદાવતનો ખાર રાખી બે પક્ષ વચ્ચે છરી વડે હુમલો થતાં બન્ને પક્ષના કુલ બે વ્યકિત ઘવાયા હતાં તે બન્ને હાલ સિવિલ હોસ્પિટલે ખસેડાયા છે. બનાવની જાણ થતાં આજી ડેમ પોલીસ મથકનો સ્ટાફ પણ સિવિલે પહોંચી ગયો હતો અને ફરિયાદ નોંધવા તજવીજ આદરી છે.
નુરાનીપરામાં રહેતા સાહિલ રફીકભાઈ સમા (ઉ.27)ને ઈમ્તીયાઝ, મોસીન, એઝાઝ અને અજાણ્યા શખ્સે છરી વડે માર મારતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા છે. જ્યારે બીજા બનાવમાં એઝાઝ યુનુસભાઈ ફુલાણી નામના 25 વર્ષના યુવકને સાજીદ અને શાહીલે છરીના પડખામાં ઘા ઝીંકી દેતાં તેમને ઈજા થતાં સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. આ બનાવ અંગે એઝાઝે જણાવ્યું હતું કે, તેમના મોટાભાઈનો ઈમ્તીયાઝ સાથે માથાકુટ અને ઝઘડો થયો હોય જેથી તેમનો ખાર રાખી તેની પર હુમલો કરવામાં આવ્યો હતો. પોતે રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બનાવ અંગે આજી ડેમ પોલીસ મથકના સ્ટાફે બન્ને પક્ષની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.