પતિને હાર્ટએટેક આવતા પત્નીનું હૃદય બેસી ગયું
ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું છે તે કહેવત ગોંડલના ભોજરાજપરામાં રહેતા વિપ્ર પરિવારમાં યથાર્થ થવા પામી છે 24 કલાકમાં જ વૃદ્ધ દંપતીના હૃદય રોગના તીવ્ર હુમલા ના કારણે નિધન થતા પરિવાર શોકમાં ગરક થવા પામ્યો છે.
વધુ વિગતો મુજબ,ગોંડલ શહેરના ભોજરાજપરા શેરી નંબર 4 માં રહેતા અને સરકારી આરોગ્ય ક્ષેત્રમાંથી નિવૃત થયા બાદ નિવૃત્તિ જીવન ગાળતા રમેશચંદ્ર શંકરલાલ આચાર્ય ઉંમર વર્ષ 75ને ગત તા.3 ના હૃદય રોગનો તીવ્ર હુમલો આવતા તેમનું નિધન થયું હતું પરિવાર હજુ તેમની અંતિમ ક્રિયા પૂર્ણ કરી શોકમાંથી બહાર આવ્યો ન હતો ત્યાં જ રાત્રિના રમેશચંદ્રના પત્ની પ્રેમીલાબેન રમેશચંદ્ર આચાર્યને પણ હૃદય રોગનો તીવ્ર હુમલો આવતા તેમનું પણ નિધન થતાં પરિવાર સ્તબ્ધ થઈ જવા પામ્યો હતો.
વિપ્ર દંપતીને સંતાનમાં ત્રણ પુત્રીઓ લીનાબેન (બારડોલી), નીરૂબેન (રાજકોટ) અને જીજ્ઞાબેન (રાજકોટ) સાસરે છે તેમજ પુત્ર આશિષભાઈ સાથે વૃદ્ધ દંપતી જીવન નિર્વાહ કરતું હતું હજુ તો 24 કલાક પહેલા જ પરિવારનાં વટ વૃક્ષ સમાન માતા પિતાના નિધન થઈ જતા સ્મશાન યાત્રામાં જોડાયેલ તમામ સ્નેહીજનોની આંખોમાંથી અશ્રુધારાઓ વહેવા લાગી હતી.
રમેશચંદ્ર આચાર્ય અને તેમના ધર્મપત્ની પ્રેમિલાબેનનું 24 કલાકમાં જ મૃત્યુ નિપજતાં બનાવથી સંતાનો નોંધારા બન્યા હતાં અને પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. તેમની અંતિમયાંત્રામાં પરિવારજનો તેમજ સ્થાનિક લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં અને તેમને શ્રધ્ધાંજલી પાઠવી હતી.