રાજકોટમાં હોટેલ-રેસ્ટોરન્ટમાં GST વિભાગના દરોડા
દિવાળીનો તહેવાર પૂર્વ થયા બાદ ઉઘરાણા કરવા માટે જીએસટી વિભાગ સક્રિય થયું છે અને ગુજરાતમાં ઠેર ઠેર દરોડા પાડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટમાં પણ 15 જેટલી હોટલ અને રેસ્ટોરન્ટમાં દરોડા પાડવામાં આવ્યા હતાં. છેલ્લા બે દિવસથી સર્ચ ઓપરેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તપાસના અંતે મોટી કરચોરી પકડાય તેવી શકયતાઓ અધિકારીઓ દ્વારા વ્યકત કરવામાં આવી રહી છે. હાલ ટેક્ષ ભરવામાં ગોટાળો કરતાં વેપારીઓમાં દરોડાની કાર્યવાહીથી ફફડાટ ફેલાયો છે.
દિવાળી પર્વ પર હોટલ અને રેસ્ટોરન્ટમાં ગ્રાહકોની અકડેઠઠ ભીડ રહેતી હોય છે. લોકો વધારે પડતું હોટલમાં જમવાનું પસંદ કરતાં હોય છે ત્યારે મોટા પ્રમાણમાં વેપાર થયો હોવા છતાં પણ હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકો ટેક્ષ ભરવામાં ઢીલી નીતિ અપનાવતાં હોવાનું સામે આવ્યું છે અને મોટાભાગનાએ હિસાબો ગોટાળા કરી ટેક્ષ નહીં ભર્યો હોવાની રાવ ઉઠતાં જીએસટી વિભાગ દ્વારા રાજકોટના કાલાવડ રોડ સહિત વિવિધ મુખ્ય માર્ગો પર આવેલી નામાંકીત હોટલો અને રેસ્ટોરન્ટમાં ગઈકાલથી દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 15 જેટલી હોટલ અને રેસ્ટોરન્ટમાં છેલ્લા બે દિવસથી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
જીએસટી વિભાગનાં સુત્રોના વિભાગમાંથી મળતી માહિતી મુજબ તપાસ કરતાં અધિકારીઓ દ્વારા હાલ સ્થળ પર શંકાસ્પદ સાહિત્યોની ચકાસણી કરવામાં આવી રહી છે અને જરૂરી લાગે તેવા દસ્તાવેજોને કબજે કરી કચેરી ખાતે વધુ તપાસ અર્થે લઈ જવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. હાલ પ્રથમ તબક્કે 15 જેટલી હોટલ અને રેસ્ટોરન્ટનો જપટે ચડી છે ત્યારે આગામી દિવસોમાં અન્ય હોટલો અને રેસ્ટોરન્ટમાં પણ દરોડા પાડવાની કાર્યવાહી કરવામાં આવે તેવ્ સંકેત મળી રહ્યાં છે. કરચોરીમાં આડોળાઈ કરતાં વેપારીઓમાં જીએસટીના દરોડાથી ફફડાટ ફેલાયો છે.